હત્યાના બન્ને કેસમાં રામપાલ દોષિત જાહેર, સજાનું એલાન 16-17 ઓક્ટોબરે

હિસાર- સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બે મામલામાં કોર્ષે દોષિ જાહેર કર્યો છે. ચુકાદા માટે સેન્ટ્રલ જેલમાં જ કોર્ટ બનાવવામાં આવી હતી. જસ્ટિસ ડી.આર.ચાલિયાએ મામલાની સુનાવણી કરી હતી. સજાની જાહેરાત 16 અથવા 17 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.ચુકાદાને ધ્યાનમાં રાખીને હિસાર જિલ્લાને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિવિધ ભાગોમાંથી હિસાર તરફ આવતી ટ્રેનનું સંચાલન અટકાવી દેવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, લગભગ ચાર વર્ષથી જેલમાં બંધ રામપાલ પર ગત સોમવારે કરવામાં આવેલી ફાઈનલ સુનાવણી બાદ કોર્ટે તેનો ચુકાદો ગુરુવાર સુધી સુરક્ષિત રાખ્યો હતો. આ મામલો 14 નવેમ્બર 2014નો છે જ્યારે હાઈકોર્ટના આદેશ છતાં એક મામલામાં રામપાલ કોર્ટમાં હાજર થયા નહતા.

ત્યારબાદ હાઈકોર્ટે રામપાલને રજૂ કરવા આદેશ આપ્યા હતા. કોર્ટના આદેશ બાદ પોલીસ પ્રશાસનને સતલોક આશ્રમમાંથી રામપાલને બહાર કાઢવા ઓપરેશન શરુ કર્યું હતું. જેમાં ચાર લોકોના મોત થયા હતાં.