આર્થિક મોર્ચે રાહત, સરકારે રાજકોષીય ખાધનું લક્ષ્ય હાંસલ કર્યું

નવી દિલ્હી- સરકારે જૂદા જૂદા ઉપાયો મારફતે 2018-19ની રાજકોષીય ખાધના 3.4 ટકા સંશોધિત લક્ષ્યને પ્રાપ્ત કરી દીધું છે. હક્કીકતમાં સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરેલા વચ્ચગાળાના બજેટમાં 2018-19ના વર્ષ માટે રાજકોષીય ખાધનું અનુમાન 3.3 ટાકાથી વધારીને 3.4 ટકા કરી દીધું હતું. ત્યારે બાદ અલગ અલગ ઉપાયોથી સરકારે આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ઈંધણ સબસિડીની ચૂકવણી આગલા નાણાંકીય વર્ષમાં લઈ જવામાં આવી છે, જેથી ટેક્સ વસૂલીમાં આવનારા ઘટાડાને પૂર્ણ કરી શકાય. આ ઉપરાંત નોન-ટેક્સ વસૂલીમાં કેટલોક ગ્રોથ નોંધાયો છે.  ખાસ કરીને  ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રાપ્તિ બજેટ અનુમાન કરતા વધારે રહી છે. કેરોસીન અને ઘરેલૂ રાંધણ ગેસને ઓછા ભાવે વેચાણ કરવા માટે સરકાર ઓઈલ કંપનીઓને સબસિડીની ચૂકવણી કરે છે. આ ફંડમાં અંદાજે 25થી 30 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવનાર હતી જેને હવે આગામી નાણાંકીય વર્ષમાં કરવામાં આવશે.

નાણાં સચીવ સુભાષ ચંદ્ર ગર્ગે ગયા સપ્તાહે કહ્યુ હતું કે, સરકાર 2018-19ના રાજકોષીય ખાધ 3.4 ટકાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની નજીક છે. તેમણે કહ્યું કે, અનુમાન છે કે, સરકારની ડાયરેક્ટ ટેક્સ પ્રાપ્તિ નક્કી કરેલા લક્ષ્યના મુકાબલે 50 હજાર કરોડ ઓછી રહી છે. સરકારને કંપનીઓ પાસેથી વધુ ટેક્સ મળવાની આશા હતી.

નોન ટેક્સ રેવેન્યૂની જો વાત કરવામાં આવે તો, સરકારને વિનિવેશના લક્ષ્યની સરખામણીએ 5000 કરોડ રૂપિયા વધુ એટલે કે, 85000 કરોડ રૂપિયા પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત કોલ ઈન્ડિયા, ઈન્ડિયન ઓયલ અને ઓએનજીસી જેવી સરકારી કંપનીઓ પાસેથી બીજો વચ્ચગાળાનો લાભાંશ પણ સરકારને પ્રાપ્ત થયો.