સરકાર ભવિષ્યમાં પણ RBIને સલાહ આપતી રહેશે: નાણાંપ્રધાન

નવી દિલ્હી- RBI અને કેન્દ્ર સરકાર વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે નાણાંપ્રધાન અરુણ જેટલીએ નિવેદન આપ્યું છે કે, સરકાર ભવિષ્યમાં પણ RBIને સલાહ આપતી રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ મોદી સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સામે RBI એક્ટ 1934 અંતર્ગત કેન્દ્ર સરકારને આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કર્યો છે.ઉલ્લેખનીય છે કે, RBI એક્ટના સેક્શન 7 અંતર્ગત કેન્દ્ર સરકારને એ અધિકાર પ્રાપ્ત છે કે, તે સાર્વજનિક હિતોના મુદ્દે RBIને સીધો જ નિર્દેશ આપી શકે છે. જેને RBI માનવાથી ઈનકાર કરી શકે નહીં. નાણાંપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે, એક્ટ અંતર્ગત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સ્વાયતતા સુરક્ષિત છે. RBI અને કેન્દ્ર સરકાર વચ્ચે ભવિષ્યમાં પણ ચર્ચા થતી રહેશે.

શું છે સેક્શન- 7

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ 1934ના સેક્શન 7 મુજબ કેન્દ્ર સરકાર સાર્વજનિક હિતોને ધ્યાનમાં રાખીને તેને અનિવાર્ય માનીને બેન્કના ગવર્નર સાથે પરામર્શ કર્યા પછી સમય સમય પર આ પ્રકારના નિર્દેશ આપી શકે છે.

જાણકારોનું માનવું છે કે, સેક્શન સાતના ઉપયોગ પછી બેન્ક પાસે પોતાની મરજીથી નિર્ણય કરવાની શક્યતા ઘણી ઓછી રહી જાય છે. એક શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભવિષ્યમાં આવનારી સરકારો RBI સાથે નાના-નાના મુદ્દાઓ પર મતભેદ થવા પર આ સેક્શનનો ઉપયોગ કરીને પોતાનો એજનડા રિઝર્વ બેન્ક ઉપર થોપતી રહેશે.