શું તમારા દાદાદાદી, નાનાનાનીએ પાણીની પાઈપ લાઈન નાંખી હતી? રાહુલ પર મોદીનો પ્રહાર

છત્તીસગઢ-  મધ્યપ્રદેશમાં ચૂંટણી રેલી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના અંબિકાપુરમાં રેલીને સંબોધિત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, શુ તમારા દાદા દાદી કે નાના નાનીએ છત્તીસગઢમાં પાણીની પાઈપ લાઈન નાંખી છે, જેને રમણ સિંહે ઉખાળી નાંખી હોય. મોદીએ કહ્યું કે, કોંગ્રેસનું માનવુ છે કે, પંડિત નેહરુના કારણે જ આજ એક ચા વેચવાવાળો વડાપ્રધાન બની શક્યો છે. એક પરિવારની બહારના કોઈ વ્યક્તિને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવે તો હું એ માનવા તૈયાર છું કે, કોંગ્રેસ લોકતાંત્રિક મૂલ્યોને મહત્વ આપે છે.

વડાપ્રધાને નોટબંધીને લઇને વાત કરી હતી, તેમણે કહ્યું કે, નોટબંધીથી દેશની જનતાને કોઇ મુશ્કેલી પડી નથી, માત્ર એક જ પરિવાર રોઇ રહ્યો છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ મારી લડાઇ આગળ પણ ચાલું રહેશે. જો તમે તમારી ચાર પેઢીમાં કંઇ નથી કર્યું તો અમને કેમ પુછો છો કે તમે ચાર વર્ષમાં શું કર્યું? કોંગ્રેસીઓને હજુ સુધી ઉંઘ નથી આવતી, કારણ કે મોદીએ રાતો રાત નોટબંધી કરીને તેમનુ તમામ કાળુ નાણું બહાર લાવ્યું હતું.

અંબિકાપુરની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગયા વખતે જ્યારે હું આવ્યો હતો ત્યારે અહીંના લોકોએ લાલ કિલ્લો બનાવ્યો હતો, આ રેલીના કારણે દિલ્હીવાસીઓની ઉંઘ હરામ થઇ ગઇ હતી. જેમણે અંબિકાપુરને બદનામ કર્યું છે, તેમણે વીણી વીણીને આ વખતે જવાબ આપવાનો મોકો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજદરબારીઓને એક જ પરિવારના ગીત ગાવાનો મોકો મળ્યો છે, તેમણે અંબિકાપુરના લોકો જ જવાબ આપી શકે તેમ છે. નક્સલી બોમ્બ બંદૂકથી લોકોને ડરાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં છત્તીસગઢના લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે.

પીએમે કહ્યું કે, હું તો દરરોજ ચાર વર્ષોનો હિસાબ આપું છું. કોંગ્રેસવાળા હાલ પણ આંસુ વહાવે છે કે ચાવાળો દેશનો વડાપ્રધાન કેવી રીતે બની ગયો. જ્યાં સુધી તમે લોકતંત્રને નહીં સમજો ત્યાં સુધી તમે ચાવાળાને ગાળો આપતા રહેશો. તેમણે એવું પણ કહ્યું કે, કોંગ્રેસ કહી રહી છે કે નેહરૂના કારણે ચાવાળો વડાપ્રધાન બન્યો, તો એકવાર 5 વર્ષ માટે પોતાના પરિવારનું નામ લીધા વગર કોઇ પાર્ટીનો અધ્યક્ષ બનાવીને દેખાડી દો.

અમારી સરકાર હંમેશાં ગરીબો માટે કામ કરે છે, અમારી સરકારે કોઇ જાતનો ભેદભાવ રાખ્યા વગર તમામ રાજ્યોમાં કામ કર્યું છે. જ્યારે અટલ બિહારી બાજપેયીજીએ છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ બનાવ્યું ત્યારે કોઇ પણ પ્રકારનું આંદોલન થયું નહોતું, પરંતુ કોંગ્રેસે માત્રે તેલંગાણા બનાવ્યું તેમાં તો આટલો મોટો હંગામો થઇ ગયો છે. જેનાથી આંધ્રપ્રદેશ તેલંગાણાને ઘણું નુકસાન થયું છે. કોંગ્રેસને ભાઇ ભાઇમાં લડાઇ કરાવ્યા સિવાય ચેન પડતું નથી.

મોદીએ રેલીમાં કહ્યું કે, જ્યારે છત્તીસગઢ મધ્યપ્રદેશનો ભાગ હતું, ત્યારે દિગ્વિજય સિંહ ત્યાંના મુખ્યપ્રધાન હતા. દિગ્વિજ્ય સિંહ જે કામ માટે છત્તીસગઢ આવ્યા હતા, તેમના વિશે હું બોલી પણ શકતો નથી, અને તે તમે જાણો પણ છો. જ્યારે છત્તીસગઢ બન્યું ત્યારે અજીત જોગી સીએમ બન્યા, શરૂઆતમાં 3 વર્ષમાં તેમની સરકારે 60 ટકાથી વધારે વાયદાઓને ખોલીને પણ જોયા નહોતા.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં શુક્રવારે બીજેપી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ચૂંટણી બિગૂલ ફૂંકવા માટે મેદાનમાં ઉતર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપી અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણેય નેતા અલગ અલગ શહેરોમાં રેલીઓ યોજી હતી..