કેજરીવાલ સરકારની વિદ્યાર્થીઓને ભેટ, AC બસમાં કરી શકશે પાસથી મુસાફરી

નવી દિલ્હી- દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર વિદ્યાર્થીઓ માટે AC બસોમાં પણ પાસ દ્વારા મુસાફરી કરવા માટેની સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીના પરિવહન પ્રધાનને નિર્દેશ આપ્યા છે કે, AC બસમાં વિદ્યાર્થી પાસ લાગૂ કરવાની દરખાસ્ત જલદી અમલમાં મૂકવા માટે પગલાં લેવામાં આવે.દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આ પ્રસ્તાવને જલદી જ અંતિમ રુપ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન કેજરીવાલનો નિર્દેશ મળ્યા બાદ AC બસોમાં વિદ્યાર્થીઓ માટે પાસ લાગૂ કરવાની દરખાસ્તની ફાઈલનું ઝડપી નિરાકરણ કરવામાં આવશે. માવનામાં આવી રહ્યું છે કે, આગામી કેટલાક દિવસોમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે.

દિલ્હીમાં DTC લગભગ 3750 બસ ધરાવે છે અને ક્લસ્ટર સ્કીમની 1650 બસો છે. DTCની 1275 AC બસો સિવાય તમામ નોનએસી અને ક્લસ્ટર યોજનાની બસોમાં વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી પાસ લાગૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી પાસની બે શ્રેણીઓ છે. જેમાં એક પાસ 100 રુપિયામાં તૈયાર કરવામાં આવે છે અને બીજી કેટેગરી 150 રુપિયાના પાસની છે. જોકે હવે દિલ્હી સરકારની નવી જાહેરાત મુજબ AC બસોમાં પણ વિદ્યાર્થીઓને પાસની સર્વિસ આપવામાં આવશે.