ભારતીય સેના થશે વધુ મજબૂત: જલદી મળશે સ્નાઈપર રાઈફલ અને નવી LMG

નવી દિલ્હી- સરહદી વિસ્તારોમાં વધી રહેલી આતંકી પ્રવૃત્તિને જોતાં સરકારે સેનાના હાથ વધુ મજબૂત કરવા નિર્ણય કર્યો છે. રક્ષા મંત્રાલયે તૈયાર કરેલા એક પ્રસ્તાવ મુજબ ભારત સરકાર ભારતીય સેના માટે 17 હજાર જેટલી લાઈટ મશીનગન (LMG) અને 6500 જેટલી સ્નાઈપર રાઈફલ ખરીદ કરશે. જેનો અંદાજીત ખર્ચ 2 હજાર કરોડ રુપિયા જેટલો થવાનો અંદાજ છે.સરકારના સૂત્રના જણાવ્યા મુજબ સ્નાઈપર રાઈફલ અને LMG ખરીદ કરવાના મુદ્દે રક્ષા મંત્રાલયમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર હથિયારોની આ ખરીદીને ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા અંતર્ગત ધ્યાન પર લેશે. આપને જણાવી દઈએ કે, ભારતીય સેના માટે આ પ્રકારના હળવા અને મધ્યમ હથિયારો ખરીદવાની માગણી લાંબા સમયથી કરવામાં આવીત રહી છે. જેનાથી જવાનોને નાના ઈમરજન્સી ઓપરેશન માટે સરળતા રહે છે.

મળતી માહિતી મુજબ આ ખરીદીને જલદી પૂરી કરવા સીધા જ સરકારથી સરકાર લેવલની ચર્ચા કરવામાં આવી શકે છે. ભારતીય સેનાના જવાનો પાસે હાલમાં જે હથિયાર છે તે પ્રમાણમાં ભારે હોવાથી નાના ઓપરેશનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા મુશ્કેલ રહે છે.