કિશ્તવાડમાં આતંકી હુમલામાં RSS નેતા ચંદ્રકાંત શર્મા પર હુમલો, મોતને ભેટ્યાં

શ્રીનગર: જમ્મૂ કાશ્મીરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના નેતા ચંદ્રકાન્ત શર્માપર આતંકી હુમલો થયો હતો.. આ આતંકી હુમલામાં ચંદ્રકાન્તના ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે શર્માએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બુરખાધારી વ્યક્તિએ ચલાવેલી ગોળીઓથી ભાગદોડ મચી હતી જેમાં હુમલાખોર ભાગવામાં સફળ થઇ ગયો હતો. સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં ગોઠવી દેવામાં આવ્યો છે.

મળતી વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા ચન્દ્રકાંત પર થયેલા આતંકી હુમલામાં તેમનું મોત થયું છે. આ હુમલો તે સમયે થયો જ્યારે ચંદ્રકાન્ત કિશ્તવાડની એક હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યાં હતા. તે દરમિયાન આતંકીઓ ત્યાં પહોંચ્યાં અને તેમના પર ફાયરિંગ શરુ કરી દીધું હતું. આ ઘટનામાં તેઓ ઘાયલ થયા હતા.

ફાયરિંગ થતાં જ સામે ચંદ્રકાન્તના ગાર્ડે જવાબી ફાયરિંગ શરૂ કર્યુ હતુ. તે દરમિયાન એક ગોળી ગાર્ડને વાગી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.

ગોળીનો અવાજ સાંભળી સમગ્ર હોસ્પિટલમાં હડકંપ મચી ગયો હતો. ત્યાં હજાર દર્દીઓ અને તેમના પરિવારજનો વચ્ચે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તેનો ફાયદો ઉઠાવી આતંકી ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.

આ ઘટનાની જાણ થતા સુરક્ષા દળે સ્થળ પર પહોંચી સંપૂર્ણ હોસ્પિટલની ઘેરાબંધી કરી દીધી છે. સાથે જ તાપસ અભિયાન પણ હાથ ધર્યું છે. હુમલાખોરની તલાસમાં સાક્ષીઓથી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.