2019ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની ‘Social Formula’

નવી દિલ્હી- આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયાના મહારથીઓની નિમણૂંક કરવાની શરુઆત કરી દીધી છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાની ટીમ બનાવી પીએમ મોદી સાથે બે-બે હાથ કરી લેવાની તૈયારી કરી લીધી છે. જેના માટે પાર્ટી પદાધિકારીઓને સક્રિય રહેવા સુચના આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળ્યું ત્યારથી જ પાર્ટીમાં સતત ફેરફાર કરતા રહ્યાં છે. યુવાઓને વધુ જવાબદારી આપવાની સાથે પાર્ટી સંગઠનમાં પણ મોટા બદલાવ કરતા રહ્યાં છે. એટલું જ નહીં, પાર્ટી હાઈકમાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને પણ સોશિયલ મીડિયા પર સક્રિય થવા જણાવ્યું છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયાનો સક્રિયરીતે ઉપયોગ કર્યો હતો, જેનું પરિણામ લોકોની સામે છે.

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે, જેથી લોકો સાથે સંપર્કમાં રહેવા સોશિયલ મીડિયા મહત્વનું માધ્યમ છે. જેથી કોંગ્રેસ પાર્ટી દ્વારા પદાધિકારીઓને સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેવા જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીના મીડિયા કોએર્ડિનેટર મનોજ ત્યાગીના જણાવ્યા મુજબ પાર્ટી નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય છે, પરંતુ વર્તમાન સમયની માગને ધ્યાનમાં રાખીને સક્રિયતા વધારવાની જરુર છે.