કોંગ્રેસના ઢંઢેરા સામે સેનાને પણ વાંધો, દેશવિરોધીઓ મજબૂત થશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 માટે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના મેનિફેસ્ટો પર વિવાદ થયો છે. કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું કે જો સત્તામાં આવીશું તો કાશ્મીર ઘાટીમાં સેનાની ઉપસ્થિતિને ઘટાડશે અને AFSPA પર પુનર્વિચાર કરશે. સૂત્રો અનુસાર કોંગ્રેસના આ પ્રકારના વાયદા પર ભારતીય સેનાને પણ આપત્તિ છે. તેમનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં સેનાની ઉપસ્થિતિને ઓછી કરવી તે ખતરનાક સાબિત થઈ શકે છે.

સૂત્રોનું માનીએ તો આ નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને સુરક્ષા દળો અને સામાન્ય લોકોને નિશાના પર લેવાની ખુલ્લી છૂટ મળી જશે. સેનાની સંખ્યામાં ઘટાડો કરવાના કારણે અનંતનાગ અને ત્રાલ જેવા ક્ષેત્રોમાં સ્થિતિ બેકાબૂ બનશે.

કોંગ્રેસના મેનિફેસ્ટો પર આપત્તિ વ્યક્ત કરતા આર્મીના સૂત્રોએ કહ્યું કે જો પ્રશાસન ડિલિવરી કરવામાં ફેઈલ થાય છે, તો તેની ખોટ સેનાને ન ભોગવવા દે. જમ્મુ-કાશ્મીર પોલુસ માટે આ પ્રકારની સ્થિતિને સંભાળવી મુશ્કેલ બની શકે છે.

સેનાના જવાનોની સંખ્યામાં ઘટાડો કરવા ઉપરાંત AFSPA પર વિચાર કરવા મામલે પણ આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. આમાં કહેવાયું છે કે આનો ઘટાડો કરવો માત્ર અને માત્ર દેશવિરોધી તાકાતોને ફાયદો પહોંચાડવા જેવું છે. આના પર સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી છે કે જમ્મુ-કાશ્મીરમાં AFSPA જરુરી છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસે મંગળવારના રોજ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે, 55 પાનાના મેનિફેસ્ટોમાં જમ્મુ-કાશ્મીર માટે આખા પેજનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે.

કાશ્મીર પર જાહેર મેનિફેસ્ટોમાં કોંગ્રેસે લખ્યું છે કે સશસ્ત્ર દળોની તહેનાતીની સમીક્ષા કરવા, ઘૂસણખોરી રોકવા માટે બોર્ડર પર વધારે સૈનિકોને તહેનાત કરવા, કાશ્મીર ઘાટીમાં સેના અને સીઆરપીએફની ઉપસ્થિતિને ઓછી કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસને વધારે જવાબદારી સોંપવાનો વાયદો કરે છે. આ સિવાય જમ્મૂ-કાશ્મીરના મુદ્દા પર ત્યાં ઉપસ્થિત તમામ પક્ષોને વાતચીત કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના મેનિફેસ્ટોને દેશને તોડનારો કહેવામાં આવ્યો છે. નાણાંપ્રધાન અરુણ જેટલીએ મંગળવારના રોજ કહ્યું હતું કે એવું લાગે છે કે કોંગ્રેસના ઘોષણાપત્રને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ટુકડા-ટુકડા ગેંગવાળા મિત્રોએ તૈયાર કર્યું છે.