હરિયાણા: કોંગ્રેસના પ્રવક્તા વિકાસ ચૌધરીની 10 ગોળી મારી હત્યા

નવી દિલ્હી- હરિયાણાના ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રવક્તા વિકાસ ચૌધરીની હત્યા કરી દેવાઈ છે. સેક્ટર 9માં હુમલાખોરોએ વિકાસ ચૌધરીને 8 થી 10 ગોળી મારી હતી. વિકાસને સર્વોદય હોસ્પિટલમાં ભરતી કરાવાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાસ્થળ પરથી 12 ખાલી કારતૂસના ખોખાં મળી આવ્યાં છે.

પોલીસ સૂત્રો પ્રમાણે, વિકાસ ચૌધરી પર બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. જ્યારે વિકાસ પોતાની ગાડીમાં જીમ જઈ રહ્યાં હતા , ત્યારે તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ સીસીટીવી ફુટેજની તપાસ ઉપરાંત હુમલાખારોની શોધમાં લાગી ગઈ છે.

પોલીસના કહ્યાં પ્રમાણે, ઘટના સવારે 9 વાગેને 2 મિનીટે થઈ હતી. જ્યારે વિકાસ સેક્ટર 9ના હુડા માર્કેટમાં પીએચસીમાં જીમ કરવા માટે નીકળ્યા હતા. જેવા વિકાસ તેમની ગાડીમાંથી ઉતર્યા, તેવો જ હુમલાખોરોએ ગોળીઓનો વરસાદ કરી દીધો હતો. વિકાસ પર અંદાજે 10થી 12 ગોળી વરસાવવામાં આવી હતી.

સીસીટીવી ફુટેજમાં બે હુમલાખોરો વિકાસ પર ગોળીઓ ચલાવતા જોવા મળ્યા હતા. તેની સાથે જ ચાર ગોળીઓ તેમના ગાડીના કાચ પર પણ વાગી હતી. બન્ને હુમલાખોરો સફેદ રંગની એસએક્સ-4 ગાડીમાં આવ્યા હતા. પોલીસે ગાડી અને હુમલાખોરોની તપાસ માટે ટીમોને દોડતી કરી છે.

કોંગ્રેસે કહ્યું- આ જંગલરાજ છે

વિકાસ ચૌધરીની હત્યા બાદ હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ અશોક તંવરે કહ્યું કે, આ ‘જંગલ રાજ’ છે. કોઈને કાયદાનો ડર નથી. ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચુકી છે. જ્યાં છેડતીનો વિરોધ કરનારી મહિલાને ચાકુ મારી દેવાયું હતું.