મારી હરીફાઈ બહારની વ્યક્તિ સામે છેઃ અજય રાય (વારાણસીમાં પીએમ મોદીના હરીફ)

વારાણસી – ઉત્તર પ્રદેશ અને ભારતના પ્રસિદ્ધ યાત્રાધામ શહેર અને લોકસભા મતવિસ્તારમાં આજે લોકસભા ચૂંટણીના સાતમા રાઉન્ડ અંતર્ગત મતદાન થયું છે. અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (ભાજપ) સામે કોંગ્રેસે અજય રાયને ઉતાર્યા છે. 2014ની ચૂંટણીમાં મોદીએ રાયને હરાવ્યા હતા. તે છતાં કોંગ્રેસે રાયને જ ફરી મોદી સામે ઉભા રાખ્યા છે.

રાયે આજે વારાણસીમાં મતદાન કર્યું હતું અને ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મોદી કેદારનાથમાં છે જ્યારે હું કાશીમાં છું. વારાણસીના લોકોને એવી વ્યક્તિની જરૂર છે જે એમની પોતાની હોય, આઉટસાઈડર ન હોય.

રાયે કહ્યું કે મારી હરીફાઈ એક બહારની વ્યક્તિ સાથે છે.

રાયે કહ્યું કે સંસદસભ્ય તરીકે મોદીની મુદત દરમિયાન વારાણસીમાં જે વિકાસના કામકાજો થયા છે એ કામચલાઉ છે અને કાયમી ધોરણના નથી.

વારાણસી બેઠક પર ત્રિપાંખિયો જંગ છે. મોદી, રાય ઉપરાંત સમાજવાદી પાર્ટીએ તેનાં ઉમેદવાર તરીકે શાલિની યાદવને ઉતાર્યાં છે.