દેશમાં વકીલો અને જજોની સંખ્યા વધારવાની જરુર: CJI રંજન ગોગોઈ

નવી દિલ્હી- દેશના નવા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ દેશમાં ઓછા વકીલો અને ન્યાયાધીશોની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોર્ટમાં આવનારા કેસની સંખ્યા ઘણી વધારે છે જેની સામે વકીલો અને ન્યાયાધીશોની સંખ્યા ખૂબ ઓછી છે. આ જાણકારી તેમણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઈવેન્ટ દરમિયાન આપી હતી.CJI રંજન ગોગોઈએ કહ્યું કે, દેશમાં કાયદાકીય સહાયતા એક મોટો મુદ્દો છે. CJIએ વધુમાં કહ્યું કે, દેશમાં 67 ટકા કેદીઓ અંડર ટ્રાયલ છે. જેમાં 47 ટકા લોકોની ઉંમર 18થી 30 વર્ષ વચ્ચે છે. જેથી એક વાત સ્પષ્ટ છે કે, દેશના મોટી સંખ્યામાં યુવાનો અંડર ટ્રાયલ છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, દેશમાં વકીલોની સંખ્યા કેટલી છે? માત્ર 13 થી 14 લાખ. જે પર્યાપ્ત નથી. તેમણે જણાવ્યું કે, અમેરિકામાં દર 200 વ્યક્તિએ એક વકીલ છે, જ્યારે ભારતમાં આશરે 1800 લોકોએ એક વકીલ છે.

આ અંગે ચિંતા વ્યક્ત કરતાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, વકીલોની સંખ્યા વધારવાની જરુર છે. સાથે જ CJI રંજન ગોગોઈએ કહ્યું કે, જે વકીલ તોમની સેવા આપી રહ્યા છે તેમણે પણ તેમની ગુણવત્તામાં સુધાર કરવાની જરુર છે.