કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર આરોપ, ગોવામાં પૂર્ણકાલીન CMની કરી માગ

નવી દિલ્હી- કોંગ્રેસ પાર્ટીએ ગોવા માટે પૂર્ણકાલિન મુખ્યપ્રધાનની માગ કરી છે. કોંગ્રેસે મનોહર પારિકર બિમાર હોવાનો હવાલો આપતા કહ્યું કે, રાજ્યને બંધારણીય સંકટથી બહાર લાવવામાં માટે રાજ્યને ઝડપથી પૂર્ણકાલિન મુખ્યપ્રધાન મળવા જોઇએ.આ સાથે જ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગોવાના મુખ્યપ્રધાન પદેથી મનોહર પારિકરને એટલા માટે નથી હટાવી રહ્યાં કારણ કે, તેમને ડર છે કે, તેઓ રાફેલ ગોટાળો અને ગુપ્ત માહિતીનો ખુલાસો કરી દેશે.

કોંગ્રેસ નેતા પવન ખોડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ગોવામાં બંધારણીય સંકટ વધી રહ્યું છે. અમારી પ્રાર્થના છે કે, મનોહર પારિકર ઝડપથી સ્વસ્થ થઇ જાય, પરંતુ ગોવામાં દર અઠવાડિયે કેબિનેટની બેઠક થતી હતી, હવે કેબિનેટની બેઠક થઇ શકતી નથી. નિર્ણયો લઈ શકતા નથી. જેથી ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે.

વધુમાં પવન ખોડાએ કહ્યું કે, ગોવામાં વર્ષ 2017માં સરકાર કેવી રીતે બની છે, તે સૌ જાણે છે. આખરે એવી તો શું મજબૂરી છે કે, નવા મુખ્યપ્રધાન વિશે કોઈ નિર્ણય નથી કરવામાં આવી રહ્યો? અમે ગોવાની જનતા સાથે ન્યાય કરવા ઈચ્છીએ છીએ.