ગવર્નર વજુભાઈ વાળાએ આપેલી બપોરે દોઢ વાગ્યા સુધીની ડેડલાઈન ઓવર, બહુમત…

બેંગ્લુરુઃ કર્ણાટકમાં લઘુમતીમાં મૂકાઈ ગયેલી કુમારસ્વામીની સરકારનો વિશ્વાસમત દેશભરમાં ભારે ઉત્સુકતાનો માહોલ સર્જી રહ્યો છે. ગુરુવારે વિધાનસભા ગૃહમાં વિશ્વાસમત લેવાની શરુ થયેલી પ્રક્રિયા અનેક વળાંકો પછી પણ પસાર થઈ શકી ન હતી. સત્તાના આ નાટકમાં રાત્રે વિધાનસભા પરિસરમાં જ કામચલાઉ પડદો પડ્યો હતો. ત્યારે કર્ણાટક ગવર્નર વજુભાઈ વાળાએ કમાન સંભાળતાં ગૃહને જણાવ્યું છે કે આજે બપોરના દોઢ વાગ્યા સુધીમાં બહુમત સિદ્ધ કરી દેવામાં આવે.જોકે આ ડેડલાઈન પણ હવે ઓવર થઈ ચૂકી છે.ફાઈલ તસવીર

કર્ણાટકના રાજકારણમાં હજુ સુધી કંઈ પણ સ્પષ્ટ નથી થઈ શક્યું. ગુરુવારે કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા વિશ્વાસ મતના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન હોબાળાની વચ્ચે ગૃહની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

વિધાનસભા ઉપાધ્યક્ષ કૃષ્ણા રેડ્ડીએ કોંગ્રેસના સભ્યો દ્વારા ભાજપ વિરુદ્ધ કરવામાં આવેલા સૂત્રોચ્ચાર બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. જોકે, ત્યાં સુધી ગૃહમાં કુમારસ્વામી તરફથી વિશ્વાસ મત પર પોતાની વાત રજૂ કરવાની બાકી હતી.

ગૃહની કાર્યવાહીમાં ગુરુવારે 20 ધારાસભ્યો નહોતા પહોંચ્યા. તેમાં 17 સત્તાધારી ગઠબંધનના છે. બળવાખોર ધારાસભ્યોમાંથી 12 હાલ મુંબઈની એક હોટલમાં રોકાયેલા છે

ગૃહની કાર્યવાહી સ્થગિત થઈ એ પહેલા, ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ જાહેરાત કરી કે તેમના એમએલએ આખી રાત ગૃહમાં જ રહેશે અને વિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય થાય ત્યાં સુધી ગૃહમાં જ રહેશે. ગુરુવાર રાત્રે યેદિયુરપ્પા સહિત તમામ નેતા ગૃહમાં જ આરામ કર્યો હતો.

આ સંજોગોમાં ગવર્નર વજુભાઈ વાળાએ કુમારસ્વામીએ પત્ર લખ્યો હતો. તેઓએ લખ્યું કે,  અનુચ્છેદ 175 (2) હેઠળ એક વિચારના રૂપમાં સંદેશ અધ્યક્ષને મોકલવામાં આવે છે. મને સૂચિત કરવામાં આવ્યો છે કે ગૃહ આજે સ્થગિત છે. આ પરિસ્થિતિઓમાં આપને અનુરોધ કરું છું કે આપ શુક્રવારે 1.30 વાગ્યા કે તેનાથી પહેલા ગૃહમાં પોતાનો બહુમત સાબિત કરો.