કશ્મીરમાં તહેનાત કરાશે NSG બ્લેકકેટ કમાંડો, ઘર્ષણના સમયમાં કરશે સેનાની મદદ

શ્રીનગર- નેશનલ સિક્યોરિટી ગાર્ડના (NSG) બ્લેકકેટ કમાંડોને જલદી જ જમ્મૂ-કશ્મીરમાં તહેનાત કરવામાં આવશે. જ્યાં તેઓ ઘર્ષણના સમયમાં અથવા બંધક લોકોને છોડાવવાની સ્થિતિમાં સેનાની મદદ કરશે. ગૃહમંત્રાલય કશ્મીર ઘાટીમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડની એક ટુકડી તહેનાત કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યું છે. જેથી જોખમી સમય અને આતંકવાદ સાથે સંકળાયેલી ઘટનાઓ દરમિયાન ઈન્ડિયાન આર્મી, CRPF અને રાજ્ય પોલીસની મદદ કરી શકાય.સરકારના એક અધિકારીએ જણાવ્યું કે, કશ્મીર ઘાટીમાં NSG તહેનાત કરવાની યોજના જલદી અમલમાં મુકવામાં આવશે. તેમને બંધક લોકોને છોડાવવા અને આતંકી હુમલા જેવી સ્થિતિ પર કાબૂ મેળવવા પ્રશિક્ષણ આપવામાં આવશે.

જમ્મુ-કશ્મીરના પોલીસ મહાનિર્દેશક એસ.પી. વૈદ્યે પણ હાલમાં જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ આવકારદાયક છે અને અમે તેના ઉપર કામ કરી રહ્યાં છીએ. અમને આશા છે તેમાં ચોક્કસ સફળતા મળશે. જોકે આ પ્રથમ ઘટના નહીં હોય જ્યારે NSG કમાંડોને જમ્મુ-કશ્મીરમાં તહેનાત કરવામાં આવશે. આ દળના કામાંડોને આ પહેલા પણ કશ્મીર ઘાટીમાં નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

વર્ષ 1984માં ઓપરેશન બ્લૂ સ્ટાર વખતે NSGનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઓપરેશન બ્લૂ સ્ટાર દરમિયાન પંજાબના અમૃતસર શહેરના સુવર્ણ મંદિરમાં છુપાયેલા આતંકીઓનો સફાયો કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન NSGમાં આશરે 7500 જવાનો હતા.

આ ઉપરાંત NSG કમાંડોએ મુંબઈ 26/11 હુમલો અને જાન્યુઆરી 2016માં પઠાનકોટ વાયુસેના શિબિર પર કરવામાં આવેલા આતંકી હુમલા, સહિત ગુજરાતમાં અક્ષરધામ મંદિર પર થયેલા આતંકી હુમલા સમયે પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.