બિહાર: કારતક પૂનમના મેળામાં નાસભાગ, 3ના મોત, 10 ઘાયલ

બેગૂસરાય- બિહારના બેગૂસરાયમાં કારતક પૂનમના મેળામાં ગંગાસ્નાન દરમિયાન ભાગદોડ થતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આજે કારતક પૂનમ હોવાથી શ્રદ્ધાળુઓ અહીં ગંગાસ્નાન કરવા આવ્યા હતા. તે સમયે સિમરિયા ઘાટ પર કોઈ કારણોસર નાસભાગ થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ જોતાં મૃત્યુઆંક વધી શકે છે.

કારતક પૂનમને ત્રિપુરી પૂર્ણિમા અથવા ગંગાસ્નાની પૂનમ પણ કહેવમાં આવે છે. જેથી અહીં બેગૂસરાયના સિમરિયા ઘાટ પર અનેક શ્રદ્ધાળુઓ ગંગાસ્નાન માટે ભેગા થયા હતા. પરંતુ તે પ્રમાણેની કોઈ વ્યવસ્થા રાખવામાં આવી નહતી, જેથી દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.

દુર્ઘટના અંગે બેગૂસરાયના DMએ જણાવ્યું છે કે, નાસભાગને કારણે લોકોના મોત થયાની વાત ખોટી છે. સવારે મોટી સંખ્યામાં લોકો ગંગા ઘાટ પર આવ્યા હતા. 8 વાગ્યા સુધી નાસભાગ જેવી કોઈ જ સ્થિતિ સર્જાઈ ન હતી. જેથી ભાગદોડને કારણે મોત થયા હોવાની વાતથી બેગૂસરાયના DM નૌશાદે ઈનકાર કર્યો હતો. 75 વર્ષથી વધુની ઉંમરના બે મહિલાઓ અને ત્રણ અન્ય વૃદ્ધોને શ્વાસની તકલીફને કારણે મોત થયા હોવાનું જણાવ્યું હતું. વ્યવસ્થામાં કોઈ ખામી રહી ગઈ હોવાનો DM નૌશાદે ઈનકાર કર્યો હતો.