મુસ્લિમ વિદ્યાર્થીએ જીતી ગીતા પ્રશ્નોત્તરી, કહ્યું ધર્મના નામે લડનારા પસંદ નથી

બેંગલુરુ- ઈસ્કોનની એક શાખા દ્વારા આયોજિત ભગવદ ગીતા ક્વિઝ સ્પર્ધામાં એક મુસ્લિમ છાત્રએ પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. નવમા ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી શેખ મુહિઉદ્દીને આ પુરસ્કાર મેળવ્યો છે.શેખ મુહિઉદ્દીન બેંગલુરુની સુભાષ મેમોરિયલ ઈંગ્લિશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેનું માનવું છે કે, બધ જ ધર્મ એકસમાન છે અને બધા ધર્મ વિશે વાંચન કરવું જોઈએ. આ સાથે મુહિઉદ્દીને કહ્યું કે, ધર્મના નામે થતી લડાઈ તેને પસંદ નથી.

તેના શિક્ષકે જણાવ્યું કે, મુહિઉદ્દીન ઈન્ટર સ્કૂલની અનેક પ્રતિયોગિતાઓમાં ભાગ લઈ ચુક્યો છે અને ઘણા પુરસ્કાર જીતી ચૂક્યો છે પરંતુ ગીતા ક્વિઝમાં પ્રથમ પુરસ્કાર જીતવો મુહિઉદ્દીન માટે ઘણી મહત્વની વાત છે.

સ્પર્ધા બાદ શેખ મુહિઉદ્દીને જણાવ્યું કે, ‘મને ભગવાન કૃષ્ણના જીવન અને તેમના ઉપદેશો વિશે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. જેના જવાબ મને ખબર હતા. દરેક ધાર્મિક ગ્રંથ આપણને શિખવાડે છે કે, માતા-પિતા અને શિક્ષકોનું  સમ્માન કરવું જોઈએ. એનાથી જ જીવન સફળ થાય છે’.