સામ્યવાદી શાસનમાં થયેલ કત્લોને હિંસા કહી શકશો? રામદેવનો યેચૂરીને સવાલ

નવી દિલ્હીઃ  મહાભારત અને રામાયણને લઈને સીતારામ યેચૂરીએ આપેલા વિવાદિત નિવેદનની યોગ ગુરુ બાબા રામદેવે આકરી ઝાટકણી કાઢી હતી. બાબા રામદેવે યેચૂરીને પૂછ્યું કે, શું સામ્યવાદીઓ, ખ્રિસ્તીઓ અને મુઘલોના શાસનમાં જે નિર્દોષ લોકોના કત્લ કરવામાં આવ્યાં તેને હિંસા કે અત્યાચાર કહેવાનું સાહસ યેચૂરી કરી શકશે.

સીતારામ યેચૂરીએ નિવેદન આપ્યું હતું કે, રામાયણ અને મહાભારત પણ લડાઈ અને હિંસાથી ભરી હતી, પરંતુ એક પ્રચારક તરીકે આપણે માત્ર તેને મહાકાવ્ય તરીકે રજૂ કરીએ છીએ. ત્યાર બાદ પણ દાવો કરીએ છીએ કે, હિન્દુ હિંસક નથી. યેચૂરીએ રામાયણ અને મહાભારતનું ઉદાહરણ આપતા કહ્યું કે, ફરી કોઈ એક ધર્મને હિંસા સાથે જોડવાનો શું તર્ક છે.

યેચૂરીના આ નિવેદન પર તેમની ખૂબ આલોચના થઈ રહી છે. હવે યોગ ગુરુ બાબા રામદેવે પણ યેચૂરી વિરુદ્ધ ખુલીને નિવેદન આપ્યું છે. બાબા રામદેવે ટ્વીટ કરીને લખ્યું કે સામ્યવાદીઓ, ખ્રિસ્તીઓ અને મુઘલોએ તેમના રાજ્ય વિસ્તારો માટે ન્યાય અને કાયદાના નામ પર 50 કરોડ નિર્દોષ લોકોને મારી નાખ્યા, શું સીતારામ યેચૂરી આને અત્યાચાર કે હિંસા કહેવાનું સાહસ કરી શકશે?

ચૂંટણીના માહોલમાં ફરી એક વખત હિંસા કરનાર ધર્મને લઈને વિવાદ શરું થઈ ગયો છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે, હજારો વર્ષના ઈતિહાસમાં હિન્દુ આતંકવાદની કોઈ ઘટના સામે નથી આવી. પરંતુ કોંગ્રેસ હિન્દુ આતંકવાદનો દાગ લગાવવાનું કામ કર્યું છે.