એરસેલ-મેક્સિસ કેસ: પી. ચિદમ્બરમ અને કાર્તિને રાહત, 1 નવેમ્બર સુધી નહીં કરાય ધરપકડ

નવી દિલ્હી- એરસેલ-મેક્સિસ ડીલ મામલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી.ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને રાહત આપી છે. કોર્ટે પી. ચિદમ્બરમ અને તેમના પુત્રની ધરપકડ કરવા પર સમય મર્યાદા વધારી દીધી છે. અને આગામી 1 નવેમ્બર સુધી તેના પર રોક લગાવી છે.આ પહેલા ગત સુનાવણી દરમિયાન કોર્ટે પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરવા ઉપર 8 ઓક્ટોબર સુધી રોક લગાવી હતી. બીજી તરફ કોર્ટે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે અત્યાર સુધી સરકારની પરવાનગી નહીં લીધી હોવા માટે તપાસ એજન્સી CBI અને EDને પણ ફટકાર લગાવી છે.

આપને જણાવી દઈએ કે, પી. ચિદમ્બરમ પર FDIના નિયમોનું ઉલ્લંઘન કરીને એરસેલ-મેક્સિસ કંપનીને ફાયદો પહોંચાડવાનો આરોપ છે. જે અંગર્ગત 5 જૂન 2018ના રોજ પી. ચિદમ્બરમ ED સમક્ષ પૂછપરછ માટે હાજર રહ્યાં હતા. 13 જૂનના રોજ ED તરફથી ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટમાં PMLAના સેક્શન 4 હેઠળ કાર્તિની એજન્સીનું નામ અને અન્ય ચાર એજન્સીનું નામ પણ સામેલ હતું.

ઉલ્લેખનીય છે કે, એરસેલ-મેક્સિસ મામલે CBIએ પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમને પણ આરોપી ગણાવ્યા છે. જેમાં તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ ઉપરાંત અન્ય 16 લોકોના નામ પણ સામેલ હતા.