AAPના ધરણાઃ દિલ્હીના આરોગ્ય પ્રધાનની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી – દિલ્હીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર અને લેફ્ટેનન્ટ ગવર્નર અનિલ બૈજલ વચ્ચેના ઝઘડો સમાપ્ત થવાનું નામ લેતો નથી. બૈજલ સામે AAPનું ધરણા આંદોલન આજે આઠમા દિવસે પ્રવેશ્યું છે. લેફ્ટેનન્ટ ગવર્નરના સત્તાવાર નિવાસસ્થાન રાજનિવાસ ખાતે ગયા સોમવારથી ધરણા પર બેઠેલા કેજરીવાલ અને એમના સાથી પ્રધાનોમાંના એક, સત્યેન્દ્ર જૈન (આરોગ્ય પ્રધાન)ની તબિયત ગઈકાલે બગડતાં એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.

કેજરીવાલ તથા એમના સાથી પ્રધાનો ભૂખહડતાળ પર ઉતર્યા છે. સત્યેન્દ્ર જૈનની તબિયત બગડતાં એમને LNJP હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હોવાની જાણકારી કેજરીવાલે ગઈ કાલે મોડી રાતે ટ્વીટ કરીને આપી હતી.

કેજરીવાલની સાથે સત્યેન્દ્ર જૈન ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયા અને ગોપાલ રાય પણ ધરણા પર બેઠા છે.

આમ આદમી પાર્ટીની સરકાર વિરુદ્ધ દિલ્હીના આઈએએસ અધિકારીઓએ કથિત બહિષ્કારનું આંદોલન શરૂ કરતાં એમને તે આંદોલન પડતું મૂકવાનો લેફ્ટેનન્ટ ગવર્નર આદેશ આપે એ માગણી તથા અન્ય માગણીઓના ટેકામાં કેજરીવાલ અને સાથીઓ ગવર્નરના નિવાસમાં ભૂખહડતાળ પર ઉતર્યા છે.