વાવાઝોડા અને વરસાદના કારણે ભારતના 3 રાજ્યોમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા…

નવી દિલ્હીઃ વાવાઝોડા અને તોફાને દેશના ઘણા શહેરોમાં પોતાનો કહેર વરસાવ્યો છે. દેશના ઘણા શહેરોમાં વાવાઝોડા સાથે કરા પણ પડ્યા હતા. રાજસ્થાનમાં વાવાઝોડા અને વરસાદના કારણે 9 લોકોના મોત થયા છે જ્યારે મધ્ય પ્રદેશમાં 13 લોકોના જીવ ગયા છે. આખા દેશમાં વાવાઝોડાને લઈને 28 લોકોના મોત થયા છે. આજે પણ હવામાન વિભાગે વાવાઝોડા મામલે એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાત અને મધ્યપ્રદેશ સાથે રાજસ્થાનના પણ ઘણા વિસ્તારોમાં વાવાઝોડાએ દસ્તક દીધી હતી. રાજસ્થાનના પ્રતાપગઢ અને ઝાલાવાડમાં વાવાઝોડા અને વરસાદે લોકોનું જીવન ડિસ્ટર્બ કર્યું હતું. ઘણી જગ્યાઓ પર વૃક્ષો અને વિજળીનાના થાંભલા પડી ગયા હતા. રાજસ્થાનમાં વાવાઝોડાના કારણે 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા છે. પરંતુ તોફાનનો ખતરો હજી ટળ્યો નથી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે વાવાઝોડાનું એલર્ટ જાહેર કર્યું છે. અહીંયા એકવાર ફરીથી વાવાઝોડુ પોતાનો મીજાજ બતાવે તેવી શક્યતાઓ છે.

વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને આ પ્રાકૃતિક સંકટમાં મૃત્યુ પામનારા અને ઘાયલ થનારા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું કે તોફાનના કારણે થયેલા નુકસાન મામલે હું દુઃખી છું અને ઘાયલો જલ્દી જ સાજા થઈ જાય તેવી કામના કરું છું. આ સીવાય વડાપ્રધાન રાહત કોષ દ્વારા મૃતકોના પરિવાર અને ઘાયલો માટે મદદની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવાર માટે 2 લાખ રુપિયા અને ઘાયલો માટે 50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે.