મહારાષ્ટ્રમાં પેટાચૂંટણીઃ ભંડારા-ગોંદિયામાં 35 મતદાન મથકો ખાતે વોટિંગ રદ કરાયું

મુંબઈ – વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ (VVPAT) અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં ગંભીર ક્ષતિ ઊભી થયાનું માલુમ પડતાં મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંદિયા આજે લોકસભા પેટાચૂંટણી માટે ઓછામાં ઓછા 35 મતદાન મથકો ખાતે મતદાન રદ કરવામાં આવ્યું છે.

ભંડારા-ગોંદિયામાં ચૂંટણી અધિકારીએ કહ્યું કે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયાના પાંચ કલાકમાં 64 મતદાન મથકોમાંથી EVM-VVPAT મશીનો બગડ્યા હોવાની ફરિયાદો મળી હતી. ચૂંટણી પંચે ઘણા વિસ્તારોમાં કેટલાક EVM-VVPAT મશીનો રીપેર કરી દીધા હતા અથવા એમની પાસે ફાજર પડેલા મશીનો કામમાં મૂક્યા હતા, પરંતુ 35 એવા મતદાન મથકો છે જ્યાં હવે કોઈ અન્ય તારીખે મતદાન યોજવું પડશે.

અનંત વાલસકર નામના અધિકારીએ કહ્યું છે કે સમગ્ર ભંડારા-ગોંદિયા મતવિસ્તારમાં ચૂંટણી રદ કરવામાં આવી હોવાની અફવાઓ ખોટી છે. અન્ય તમામ વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્વક અને યોગ્ય રીતે ચાલી રહ્યું છે.