મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભીષણ અકસ્માતઃ કાંદિવલીનાં બે ગુજરાતી સહિત 6નાં મરણ

મુંબઈ – અહીંથી નજીકના પાલઘર જિલ્લાના દહાણુ તાલાકાના આંબોલી નજીક મુંબઈ-અમદાવાદ હાઈવે પર આજે બે કાર અને એક મોટરસાઈકલ વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં છ જણનાં કરૂણ મરણ નિપજ્યા છે અને બીજાં બે જણને ઈજા પહોંચી છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અકસ્માત આંબોલી ખાતે પેટ્રોલ પંપની સામે થયો હતો.

મૃતકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે.

મૃતકોનાં નામ છેઃ આકાશ ચવ્હાણ (42) બોરીવલી રહેવાસી, નવનાથ રમાકાંત નવલે (25) મોખાડા રહેવાસી, ભાગવત દગડૂ જાધવ (50) પનવેલ રહેવાસી, પ્રતિમા પરિમલ શાહ (70) કાંદિવલી નિવાસી, રાકેશ પ્રવીણલાલ શાહ (50) કાંદિવલી નિવાસી, દિલીપ મધુકર ચંદાની (30) પનવેલ નિવાસી.

અકસ્માત વિચિત્ર હતો. મુંબઈ તરફ જતી કાર સાથે મોટરબાઈક સવાર જોરદાર ટકરાયો હતો. બંને વાહન વચ્ચેની એ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ડિવાઈડર પરથી ઉછળીને ગુજરાત તરફના રસ્તા પર પડી હતી. એ જ વખતે એક અન્ય કાર એની સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ત્રણેય વાહનનો ખુરદો નીકળી ગયો હતો.