બોલવાની જરૂર હોય ત્યારે જ મોદી ચૂપ રહે છેઃ શરદ પવાર

પુણે – રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના રાષ્ટ્રીય પ્રમુખપદે શરદ પવારની આજે પુનઃ વરણી કરવામાં આવી છે. અત્રે પાર્ટીની પ્રદેશ કાર્યકારી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

પોતાના સંબોધનમાં શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. એમણે કહ્યું કે મોદીએ જ્યારે બોલવાની જરૂર હોય છે ત્યારે જ ચૂપ બેસી રહે છે. કોંગ્રેસ સરકારના શાસન વખતે વડા પ્રધાન મનમોહન સિંહ બહુ બોલતા નહોતા ત્યારે એમની ટીકા કરવામાં આવતી હતી, પરંતુ હવે જ્યારે બોલવાની જરૂર હોય ત્યારે વડા પ્રધાન મોદી ચૂપ બેસી રહે છે.

પવારે કઠુઆ અને ઉન્નાવમાં થયેલા બળાત્કારની ઘટનાનો ઉલ્લેખ કરીને મોદી તથા ભાજપને સંભળાવ્યું હતું.

પવારે કહ્યું કે, સ્ત્રીઓ પ્રતિ ભાજપના નેતાઓનો દ્રષ્ટિકોણ ભૂલભરેલો છે. આરોપીઓને બચાવવા માટે કાઢવામાં મોરચામાં ભાજપના પ્રધાનો સામેલ થયા હતા. દેશના ઈતિહાસમાં આટલા નાદાન શાસનકર્તા મેં અગાઉ ક્યારેય જોયા નહોતા.

પવારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને પણ એક સંકેત કર્યો છે. એમણે કહ્યું કે, અમે કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડવા ઈચ્છીએ છીએ. માત્ર એ પાર્ટીએ સ્પષ્ટ જણાવવું પડશે.