મોદીની નેતાગીરી વિશે કોઈએ પણ શંકા કરવી ન જોઈએઃ બાબા રામદેવ

મુંબઈ – યોગગુરુ બાબા રામદેવે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નેતાગીરી અને નીતિઓ વિશે કોઈએ શંકા કરવી ન જોઈએ.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના પરાજયે આંચકો સર્જ્યો છે ત્યાર રામદેવે પીએમ મોદી વિશે આ નિવેદન કર્યું છે.

અહીં ટાઈમ્સ નેટવર્ક દ્વારા આયોજિત ઈન્ડિયા ઈકોનોમિક કોન્ક્લેવ ખાતે રામદેવે પોતાના સંબોધનમાં કહ્યું કે નરેન્દ્ર મોદી વોટ-બેન્કનું રાજકારણ રમે એવા લોકોમાંના નથી.

શું મોદીએ ચૂંટણી વચનોનું પાલન કર્યું છે ખરું? એવા સવાલના જવાબમાં રામદેવે કહ્યું કે હું આવા રાજકીય સવાલોના જવાબ આપીને મુસીબત વહોરી લેવા માગતો નથી, કારણ કે એને તમારે કિંમત ચૂકવવી પડે. હું માત્ર એટલું કહીશ કે મોદીની નેતાગીરી, એમના ઈરાદા અને એમની નીતિઓ વિશે કોઈએ પણ શંકા કરવી ન જોઈએ.

રામદેવે કહ્યું કે મોદીએ રાષ્ટ્રઘડતરની 100 જેટલી મોટી યોજનાઓ શરૂ કરાવી છે અને એ ક્યારેય વોટ-બેન્કનું રાજકારણ રમ્યા નથી.