ખુશખબરઃ નેરળ-માથેરાન મિની ટ્રેન આવતા માર્ચથી ફરી શરૂ થશે

મુંબઈ – નજીકમાં જ આવેલા માથેરાન હિલ સ્ટેશન પર જવા ઈચ્છનારાઓ માટે આનંદના સમાચાર છે. નેરળ અને માથેરાન વચ્ચે દોડાવવામાં આવતી મિની ટ્રેનને ફરી ચાલુ કરી શકવાની સત્તાવાળાઓને સંપૂર્ણ ખાતરી છે.

20 કિલોમીટરના રૂટ પર દોડતી આ ટ્રેન આવતા વર્ષના માર્ચ મહિનાથી ફરી શરૂ કરવામાં આવશે.

દોઢ વર્ષ પૂર્વે પહાડ પરથી ભેખડ ધસી પડવાને કારણે પાટાઓ તથા આ ટ્રેનના ડબ્બાને થયેલા નુકસાનને પગલે આ સેવાને સમારકામ માટે બંધ કરવામાં આવી છે. આ રૂટ પરના પાટા તેમજ ડબ્બાઓનું સમારકામ ચાલુ છે અને પૂરજોશમાં ચાલુ છે. ઉપરાંત ભેખડો ધસી પડવાનો ડર ન રહે એ માટેનું કામકાજ હાથ ધરવા માટે રૂ. 18 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.

દરમિયાન, મિની ટ્રેન સેવા શરૂ કરાશે એ પછી ટ્રેનની સ્પીડ વધશે. એ માટે ટ્રેનમાં 300ને બદલે 600 હોર્સપાવરનાં બે એન્જિન જોડવામાં આવશે. એન્જિન્સમાં હાથેથી દબાવવાની બ્રેક ઉપરાંત એર બ્રેક પણ બેસાડવામાં આવશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં સફર કરવા માટે પુખ્ત વયની પ્રત્યેક વ્યક્તિ માટેની ટિકિટનું ભાડું રૂ. 300 છે અને પ્રત્યેક બાળક માટેનું ભાડું રૂ. 180 છે. સેકન્ડ ક્લાસ કોચમાં સફર કરવા માટે પ્રત્યેક પુખ્ત વયની વ્યક્તિ માટેનું ટિકિટ ભાડું રૂ. 45 છે અને બાળક માટેનું ભાડું રૂ. 30 છે.