નારાયણ રાણેની દિલ્હીની મુલાકાત નિષ્ફળ ગઈ? તેઓ નવો પક્ષ રચે એવી ચર્ચા

મુંબઈ – કોંગ્રેસ પાર્ટી છોડીને મહારાષ્ટ્રના સિંધુદુર્ગ વિસ્તારના દિગ્ગજ ગણાતા નેતા નારાયણ રાણે મેદાનમાં આવી ગયા છે. એમણે શાસક ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના પ્રયાસો કરી જોયા છે, પણ એ નિષ્ફળ ગયા હોવાનું સૂત્રોનું કહેવું છે.

રાણે સોમવારે નવી દિલ્હીમાં ભાજપના પ્રમુખ અમિત શાહને જઈને મળ્યા હતા. શાહ સાથે એમની મુલાકાત પૂર્વેથી જ એવી અટકળો હતી કે રાણેને ભાજપ સામેલ કરી લેશે.

પરંતુ, દિલ્હી મુલાકાતથી ભાજપમાં પ્રવેશવાનું રાણેનું સપનું સાકાર થયું નથી.

હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે રાણે પોતાનો અલગ પક્ષ બનાવશે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાને અઠવાડિયું થવા આવ્યું છે તે છતાં રાણે એમની આગળની રાજકીય સફર વિશે અવઢવમાં છે.

સૂત્રોએ એવું જણાવ્યું છે કે રાણે દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા ત્યારે એમની સાથે પોતાના ભાજપમાં સામલે થવા મુદ્દે કોઈ પ્રકારની ચર્ચા થઈ નહોતી.

રાણે મળીને રવાના થયા બાદ પત્રકારોએ જ્યારે અમિત શાહને રાણે સાથે ભાજપપ્રવેશ અંગે કોઈ ચર્ચા થઈ હતી ખરી? એવો સવાલ પૂછ્યો હતો ત્યારે શાહે જવાબ ઉડાવી દીધો હતો.