મહારાષ્ટ્રમાં દુકાળગ્રસ્ત વિસ્તારોનાં વિદ્યાર્થીઓને ST બસમાં મફત પ્રવાસ કરવા મળશે

મુંબઈ – મહારાષ્ટ્રમાં આ વર્ષે મોટા ભાગના જિલ્લાઓમાં દુકાળની પરિસ્થિતિ સર્જાઈ છે. આ કુદરતી આફતને ધ્યાનમાં લઈને રાજ્યના સ્ટેટ રોડ (એસ.ટી.) મહામંડળે ગ્રામીણ વિસ્તારોમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી છે.

સરકારે દુષ્કાળગ્રસ્ત તાલુકાઓના વિદ્યાર્થીઓને બાકી રહેલા શૈક્ષણિક વર્ષ દરમિયાન એસ.ટી. બસોમાં મફત પ્રવાસ કરવાની સુવિધાની જાહેરાત કરી છે.

રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન દિવાકર રાવતેએ આ જાહેરાત કરી છે. રાવતે એસ.ટી. મહામંડળના અધ્યક્ષ પણ છે.

રાજ્યમાં શાળા-કોલેજોમાં તેમજ વ્યાવસાયિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને આપવામાં આવતા માસિક પાસમાં 66.67 ટકાની રાહત આપવામાં આવે છે. હવે સરકારે દુકાળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને દુકાળગ્રસ્ત તાલુકાઓના વિદ્યાર્થીઓને બાકીના શૈક્ષણિક વર્ષ માટે 100 ટકા મફત પાસ આપવાની જાહેરાત કરી છે.

સરકારના આ નિર્ણયથી રાજ્યની તિજોરી પર રૂ. 85 કરોડનો અતિરિક્ત બોજો આવશે.

રાજ્યમાં અંદાજે 35 લાખ વિદ્યાર્થીઓને આ સવલતનો લાભ મળશે.