શિવસેનાએ વચન પાળ્યું; મુંબઈમાં 500 ચોરસ ફૂટનાં ઘરોને પ્રોપર્ટી ટેક્સમુક્ત કર્યા

મુંબઈ – મહાનગરમાં 500 સ્ક્વેર ફીટ અને તેથી ઓછા એરિયાનાં ઘરોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય પ્રધાનમંડળે આજે આ નિર્ણય લીધો છે.

શિવસેના પાર્ટીએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે વચન આપ્યું હતું કે જો એ સત્તા પર આવશે તો મુંબઈમાં 500 સ્ક્વેર ફીટના ઘરોને પ્રોપર્ટી ટેક્સમાંથી બાકાત કરી દેશે.

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે શિવસેના સત્તામાં ભાગીદાર છે.

રાજ્ય સરકારના નિર્ણયને પગલે મુંબઈમાં લાખો રહેવાસીઓને મોટી રાહત થશે.

આજે કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભાજપના વિધાનસભ્ય આશિષ શેલારે એવી માગણી કરી હતી કે 750 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાવાળા ઘરોને પ્રોપર્ટી ટેક્સમાંથી માફી આપવી જોઈએ. પણ એ વિશે કેબિનેટે કોઈ નિર્ણય લીધો નથી.

યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરેએ 500 સ્ક્વેર ફીટ સુધીના ઘરોને પ્રોપર્ટી ટેક્સમાંથી માફ કરવાના નિર્ણયને આજે ટ્વિટર પર મૂક્યા હતા અને કહ્યું છે કે એમની શિવસેના પાર્ટીએ વચનનું પાલન કરી બતાવ્યું છે.

આદિત્ય ઠાકરેએ એમ પણ કહ્યું છે કે આ નિર્ણય માટે પોતે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો આભાર માને છે.

httpss://twitter.com/AUThackeray/status/1103990002210480128

દરમિયાન, મુંબઈમાં ઘણા ડિફોલ્ટર્સ છે જેમણે હજી સુધી મુંબઈ મહાનગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સ રૂપે કુલ રૂ. 3,681 કરોડ ચૂકવ્યા નથી.

મુંબઈમાં ઓછામાં ઓછા 15 લાખ ઘરો એવા છે જેમનો એરિયા 500 ચોરસ ફૂટથી ઓછો છે.