અરબાઝ ખાને કર્યો IPL 11માં સટ્ટાબાજીનો સ્વીકાર, ગુમાવ્યાં આટલાં રુપિયા….

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાનની પૂછપરછમાં તેમણે આઇપીએલમાં સટ્ટાબાજી કરી હોવાનો સ્વીકાર કર્યો છે. અરબાઝે એ પણ કબૂલ કર્યું છે કે કુખ્યાત સટ્ટાબાજ સોનુ જાલાન સાથે ગાઢ સંબંધ છે અને બંને એકબીજાને પાંચ વર્ષથી ઓળખે છે.અરબાઝે આઈપીએલમાં સોનુના માધ્યમથી સટ્ટો ખેલ્યો હોવાની વાત સ્વીકારી લેતાં જણાવ્યું હતું કે તે સટ્ટાબાજીમાં કુલ 2.75 કરોડ રુપિયા હારી ગયો છે. અરબાઝને ગઇકાલે ઠાણે ક્રાઇમ બ્રાન્ચ પોલિસે પૂછપરછ કરવા બોલાવ્યાં હતાં.

પોલિસે આપેલી જાણકારી મુજબ સટ્ટાબાજ સોનુ જાલાનની સામે બેસાડીને અરબાઝની પૂછપરછ કરવામાં આવી હતી જ્યાં તેમણે સ્વીકાર્યું હતું કે આઈપીએલ 11માં સટ્ટાબાજી કરી છે.

પોલિસને મળેલ અરબાઝ અને સોનુની તસવીર સૌજન્ય ટાઇમ્સ નાઉ

એક બૂકીની ધરપકડ બાદ મળેલી માહિતી બાદ અરબાઝને સમન્સ મોકલવામાં આવ્યું હતું. હેવ પોલિસ અરબાઝનું બયાન નોંધીને સટ્ટાબાજી રેકેટમાં તેની લિન્ક બાબતે વધુ તપાસ કરશે. મામલો એટલા માટે ગંભીર માનવામાં આવે છે તે સટ્ટાબાજીના તાર ડી કંપની સાથે જોડાયેલાં મળી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બૂકી સોનુ જાલાનની પહેલાં જ ધરપકડ થઇ ચૂકી છે. તેનું નેટવર્ક 100 કરોડ વાર્ષિકનું માનવામાં આવે છે. જોકે પોલિસે હજુ અરબાઝની સામે કોઇ કેસ નોંધ્યો નથી.

એન્ટિ એક્સટોર્શન સેલની પૂછપરછમાંથી બહાર આવીને અરબાઝખાને આ સંદર્ભે માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારું નિવેદન નોંધવામાં આવ્યું છે.પોલિસ તપાસમાં સહકાર કરીને હું તમામ જવાબ આપીશ.