અંધેરી પૂલ દુર્ઘટના માટે રેલવે તંત્ર જવાબદારઃ મુંબઈના મેયરનો આરોપ

મુંબઈ – આજે સવારે અંધેરી સ્ટેશન પર ગોખલે ઓવરબ્રિજનો હિસ્સો તૂટી પડ્યો એ માટે મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વરે રેલવે તંત્રને જવાબદાર ઠેરવ્યું છે.

મહાડેશ્વરે કહ્યું છે કે પૂલની દેખભાળ કરવાની જવાબદારી રેલવેની હતી.

મહાડેશ્વરના આરોપને પગલે હવે રેલવે તંત્ર અને મહાનગરપાલિકા વચ્ચે આરોપબાજી થવાનો સંભવ છે. મેયરે કહ્યું કે આ પૂલ મહાપાલિકાએ બાંધ્યો હોય તોય એની દેખભાળ કરવાની જવાબદારી રેલવેની બને છે, કારણ કે પૂલની દેખભાળ કરવાનો ખર્ચ મહાપાલિકા તરફથી રેલવેને આપવામાં આવે છે.

દરમિયાન, એક સ્વતંત્ર પત્રકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ પૂલની ખરાબ હાલત વિશે પશ્ચિમ રેલવે અને મહાનગરપાલિકાનું 2017ના સપ્ટેંબરમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું.

ધર્મેશ ઠક્કર નામના સ્વતંત્ર મિડિયા પ્રોફેશનલે ટ્વીટમાં કહ્યું છે કે પૂલની બિસ્માર હાલત વિશે 2017ના સપ્ટેંબરમાં ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ પગલું લેવામાં આવ્યું નહોતું. આવી બેદરકારી દાખવીને રેલવે પ્રવાસીઓ તથા વાહનચાલકોના જાન જોખમમાં મૂકવા બદલ મહાપાલિકા અને રેલવેના કસુરવાર એન્જિનીયરો સામે પગલાં લે.

httpss://twitter.com/news_houndz/status/1014092468164362241