મુંબઈની જેલમાં 81 મહિલા કેદીઓને ખોરાકી ઝેર ચડતાં હોસ્પિટલમાં દાખલ

મુંબઈ – અત્રે ભાયખલા ઉપનગરમાં આવેલી મહિલાઓની જેલમાં આજે સવારે ઓછામાં ઓછી 81 કેદીઓને ખોરાકી ઝેર ચડ્યું હતું અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

સવારે નાસ્તો કર્યા બાદ ઘણી મહિલા કેદીઓએ પેટમાં સખત દુખાવો થતો હોવાની, ઊલટી થતી હોવની અને ડીહાઈડ્રેશન થતું હોવાની ફરિયાદ કરી હતી. એટલે તરત જ એમને અત્રેની સરકાર સંચાલિત સર જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ભોગ બનેલાઓમાં ચાર મહિનાનાં એક શિશુ તથા એક ગર્ભવતી મહિલાનો પણ સમાવેશ થાય છે. એમની તબિયત હવે સ્થિર છે, એમ મહિલાઓની સારવાર કરનાર ડોક્ટરોની આગેવાની લેનાર ડો. વકાર શેખે કહ્યું છે.

આ મહિલાઓની જેલમાં લગભગ 385 કેદીઓ છે. એમાં કેટલીક વિદેશી મહિલાઓ પણ છે.

ખોરાકી ઝેરની ઘટનાની તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે દૂષિત પાણીને લીધે મહિલા કેદીઓ બીમાર પડી ગઈ હતી.