માલદીવ: 45 દિવસ બાદ રાજકીય કટોકટી દૂર કરાઈ

માલે- માલદીવના પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીને દેશમાં સ્થિતિ સામાન્ય હોવાની જાણકારી આપતાં દેશમાંથી રાજકીય કટોકટી દૂર કરી છે. આપને જણાવી દઈએ કે, માલદીવમાં ગત 45 દિવસોથી રાજકીય કટોકટી લાગુ કરવામાં આવી હતી. માલદીવની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ દેશમાં સુરક્ષા સેવાઓ યથાવત થઈ હોવાનું જણાવી કટોકટી દૂર કરવામાં આવી છે.આપને જણાવી દઈએ કે, માલદીવ સુપ્રીમ કોર્ટ દ્વારા રાજકીય કેદીઓને છોડવાનો આદેશ અપાયા બાદ માલદીવમાં રાજકીય સંકટની શરુઆત થઈ હતી. સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી આદેશ માનવાનો માલદીવના પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીને ઈનકાર કર્યો હતો. અને ગત 5 ફેબ્રુઆરીના રોજ માલદીવમાં 15 દિવસ માટે રાજકીય કટોકટીની જાહેરાત કરી હતી. બાદમાં તેને વધુ 30 દિવસ માટે લંબાવવામાં આવી હતી જે 22 માર્ચે 45 દિવસ બાદ પુરી થયેલી જાહેર કરવામાં આવી છે.

માલદીવના પ્રેસિડેન્ટ અબ્દુલ્લા યામીનના સાવકા ભાઈ અને પૂર્વ તાનાશાહ મૌમૂન અબ્દુલ ગયુમ અને માલદીવ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અબ્દુલ્લા સઈદ, જસ્ટિસ અલી હમીદ સહિત ચાર અન્ય નેતાઓ પર રાજકીય કટોકટી દરમિયાન દેશમાં સરકાર ઉથલાવવાના ષડયંત્ર રચવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.