નેપાળ અને ભારતના રાજકીય સંબંધોમાં કડવાશ લાવવા ‘ડ્રેગન’ની નવી ચાલ

કાઠમાંડૂ- ભારતના પડોશી દેશોમાં ચીનનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે. મોટી આઆર્થિક સહાય કરવાની સાથે ચીન હવે તેના સંસાધનોનો ઉપયોગ કરવાની પણ છૂટ આપીને નવી ચાલ ચાલી રહ્યું છે. આ ઘટનાક્રમ અંતર્ગત ચીને નેપાળને તેના ચાર બંદરો અને ત્રણ લેન્ડપોર્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.ચીનની આ હિલચાલ ખૂબ મહત્વની છે કારણકે તેનાથી આંતરરાષ્ટ્રીય વાણિજ્ય માટે ભારત સાથે જમીન સરહદથી જોડાયેલા નેપાળની નિર્ભરતા ઘટાડશે.

આપને જણાવી દઈએ કે, વર્ષ 2015માં નેપાળમાં મધેસી આંદોલન થયું હતું. આ દરમિયાન ત્યાં રોજીંદી જરુરિયાતની ચીજ વસ્તુઓની અછત સર્જાઈ હતી. ત્યારબાદથી નેપાળે ભારત પર તેની નિર્ભરતા ઓછી કરવા અંગે વિચાર શરુ કર્યા હતા. જે સ્થિતિનો લાભ લઈને ચીને નેપાળ સાથે પોતાના સંબંધો વધારવાના શરુ કર્યા હતા.

વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ નેપાળ હવે ચીનના શેનજેન, લિયાનયુગાંગ, જાજિયંગ અને તિયાનજિન પોર્ટને ઉપયોગ કરી શકશે. ઉપરોક્ત પોર્ટ પૈકી તિયાનજિન પોર્ટ નેપાળની સરહદથી સૌથી નજીકનું પોર્ટ છે, જે લગભગ 3 હજાર કિલોમીટર દૂર આવેલું છે. આ ઉપરાંત ચીને નેપાળને તેના લંઝાઉ, લ્હાસા અને શીગાટ્સ લેન્ડપોર્ટનો ઉપયોગ કરવાની પણ નેપાળને પરવાનગી આપી છે.