ખશોગીની હત્યા થઈ હશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે: ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેનું કહેવું છે કે, મને લાગે છે કે, સાઉદી અરબના ગુમ થયેલા પત્રકાર જમાલ ખશોગીનું મોત થયું છે. સાથે જ તેમણે આ મામલે સાઉદી અરબનો હાથ હશે તો ખુબજ ગંભીર પરિણામ ભોગવવાની પણ ચેતવણી આપી છે. અમેરિકન વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ દ્વારા સાઉદી અરબ અને તુર્કીમાં કરેલી તપાસની જાણકારી આપ્યા બાદ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે.

ચાલુ મહિનાની શરૂઆતમાં તુર્કીની રાજધાની ઈસ્તાનબુલ સ્થિત સાઉદી અરબના દુતાવાસમાં પ્રવેશ કર્યા બાદથી ગુમ થયેલા ખશોગી મામલે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દુતાવાસની અંદર જ તેમની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ તેમનો અવાજ બુલંદ કર્યો છે. અને ચાર દેશોએ રિયાદમાં થનારા નિકાસ સંમેલનનો બહિષ્કાર કર્યો છે.

ટ્રમ્પે કહ્યું કે, અમે કેટલીક તપાસ અને પરિણામોની રાહ જોઈ રહ્યાં છીએ, અમારી પાસે ખુબજ જલ્દી પરીણામ આવશે, અને મને લાગે છે કે, હું નિવેદન આપવાનો છું અને ખુબ જ ગંભીર નિવેદન આપવાનો છું. હાલ અમે ત્રણ અલગ અલગ તપાસના રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ.

ઉલ્લેખનીય છે કે, 1980ના દાયકામાં ઓસામા બિન લાદેનના ઈન્ટરવ્યુથી જમાલ ખશોગી ચર્ચામાં આવ્યા હતાં. અને ખશોગી તુર્કીમાં રહેતી પોતાની મંગેતર હેટિસ સેગિજ સાથે લગ્ન કરવા માંગતા હતાં. ખશોગી ગત 2 ઓક્ટોબરના રોજ લગ્નની અનુમતિ લેવા માટે ઈસ્તાનબુલ સ્થિત સાઉદી અરબના દુતાવાસમાં ગયા હતાં. ત્યારે બાદ તેમને આ દુતાવાસની અંદજ જતા જોવામાં આવ્યા હતાં પરંતુ ત્યાથી બહાર નીકળતા કોઈએ જોયા નથી. ખશોગી અમેરિકામાં સ્થાયી નિવાસી છે, અને વોશિગ્ટન પોસ્ટ અખબાર માટે કામ કરતા હતાં.