શ્રીલંકાએ 37 દેશોના ઓન એરાઇવલ વિઝા બંધ કર્યા, પરદેશીઓની…

કોલંબો- શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા જોરદાર આતંકવાદી હુમલાથી આખોય દેશ અને દુનિયા હચમચી ગઇ છે.  આ અમાનવીય હુમલામાં 360 જેટલાં લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાને પગલે સાવચેતીના ભાગરુપે શ્રીલંકાએ  37 દેશોના ઓન એરાઇવલ  વિઝા બંધ  કરી દીધા છે. ગુરુવારથી જ ઓન એરાઇવલ વિઝા બંધ કર્યા બાદ પર્યટન પ્રધાન અમારાતુંગાએ એક નિવેદનમાં જણાવ્યું કે, 37 દેશો માટે વિઝાની યોગ્ય વ્યવસ્થા કરી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ઓન એરાઇવલ વિઝા બંધ કરી દેવામાં આવ્યા છે.

તપાસમાં કેટલાક બહારના દેશના સંપર્કોથી ઘટના બની હોય એવું સામે આવ્યુ છે, જેથી કોઇ સરળતાથી પ્રવેશી ના જાય એ માટે આ વ્યવસ્થા હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે. કોઇ ઓન એરાઇવલ વિઝાનો દુરઉપયોગના કરી જાય એ ધ્યાન રાખવું જરુરી છે. મે થી ઓક્ટોબર માસના ગાળામાં ખૂબ જ પ્રવાસીઓ આવતા હોવાથી આ સુવિધા આપવામાં આવી હતી. જેથી પર્યટન ઉદ્યોગને પણ ફાયદો થાય.

શ્રીલંકાની પોલીસ તેમજ લશ્કરી અધિકારીઓએ પાકિસ્તાનના 7 સહિત હાલ 16 જેટલા સંદિગ્ધોને પકડ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના એ એક નિવેદન આપતા  જણાવ્યુ કે,  આ ભયાનક આતંકવાદી ઘટના બાદ 139 જેટલા લોકોની સામે શંકાની સોય સેવાઇ રહી છે, સરકારી તંત્ર દ્વારા આવા લોકોને આઇડેન્ટીફાઇ કરવામાં આવ્યાં છે.