રોહિંગ્યા મુસ્લિમ આતંકીઓએ હિન્દુઓનો સામૂહિક નરસંહાર કર્યો: એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ

મ્યાનમાર- માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલના અહેવાલમાં જણાવ્યા મુજબ રોહિંગ્યા મુસ્લિમ આતંકીઓએ ગત વર્ષ ઓગસ્ટ-2017માં અનેક હિંદુઓની હત્યા કરી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સામુહિક નરસંહાર કરનારા આ સંગઠનનું નામ અરસા છે. રિપોર્ટ મુજબ અલગ-અલગ બે હુમલામાં 99 હિન્દુઓને મારી નાખવામાં આવ્યા છે. જો કે અરસા સંગઠને આ પ્રકારના કોઈ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઈનકાર કર્યો છે. આ ઉપરાંત મ્યાનમારની સેના ઉપર પણ રોહિંગ્યાઓ પર અત્યાચાર કરવાનો આરોપ છે. ઓગસ્ટ-2017ની હિંસા બાદ 7 લાખથી વધુ રોહિંગ્યા મુસ્લિમ મ્યાનમાર છોડીને પલાયન કરી ચુક્યા છે.સંયુક્ત રાષ્ટ્રએ મ્યાનમાર સેનાના ઓપરેશનને રોહિંગ્યાઓ સામે ક્રૂર કાર્યવાહી ગણાવી હતી. સૈનિકો ઉપર રોહિંગ્યા નાગરિકોની હત્યા અને ગામને સળગાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સાથે જ રોહિંગ્યા ઉગ્રવાદીઓ ઉપર પણ દુર્વ્યવહારનો આરોપ લગાવાયો છે. જેમાં રખાઈન પ્રાંતના ઉત્તરી ભાગમાં હિન્દુઓના નરસંહારનો મામલાનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં આ વિસ્તારમાં સામૂહિક કબરો મળી આવી હતી.

ઉગ્રવાદી સંગઠન અરાકાન રોહિંગ્યા સેલ્વેશન આર્મીએ (ARSA) નરસંહારની જવાબદારી લેવાનો ઈનકાર કરી દીધો હતો, પરંતુ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે જણાવ્યું છે કે, તપાસમાં સ્પષ્ટ જણાઈ આવ્યું છે કે, આતંકી સંગઠને 53 હિન્દુઓને ફાંસી આપીને મારી નાખ્યા હતા. આ ઘટનામાં મરનારા સૌથી વધુ લોકોમાં મોન્ગ સેક ગામના બાળકો હતા.