આ છે અમારી વિદેશનીતિની પ્રાથમિકતાઃ સુષમા સ્વરાજે હનોઈમાં જણાવ્યું…

હનોઈઃ હિન્દ મહાસાગરમાં ચીનના દાવાઓ વચ્ચે વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ ક્ષેત્રના આર્થિક મહત્વ પર જોર આપતા વિદેશપ્રધાન સુષમા સ્વરાજે જણાવ્યું કે વર્ચસ્વની જગ્યાએ પરસ્પર સહયોગ આધારિત ભારતની વિદેશ નીતિ માટે ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા એ પ્રાથમિકતા છે. ત્રીજા હિન્દ મહાસાગર સમ્મેલનને સંબોધીત કરતા સ્વરાજે જણાવ્યું હતું કે એવા સમયે કે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાની ધૂરી ધીરેધીરે પૂર્વ બાજુ સરકી રહી છે ત્યારે હિન્દ મહાસાગર ઉભરતા એશિયાઈ કાલખંડ માટે કેન્દ્ર બની ગયો છે.

ત્યારે આ ક્ષેત્રમાં રહેનારાઓની પ્રાથમિકતા છે કે તેઓ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ જાળવી રાખે. ચીન દ્વારા હિન્દ મહાસાગરમાં પોતાની ઉપસ્થિતિ વધારવાને ધ્યાનમાં રાખતા સુષમા સ્વરાજનું આ નિવેદન અત્યંત મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે નવા સિલ્ક રુટના નિર્માણ અંતર્ગત રાષ્ટ્રપતિ શી જિનપિંગની વન બેલ્ટ વન રોડ પહેલમાં હિન્દ મહાસાગર પ્રમુખતાથી આવે છે.

તો ભારત ચીનના વન બેલ્ટ વન રોડનો વિરોધ કરે છે કારણ કે આ અંતર્ગત બની રહેલો ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર પાકિસ્તાની માલિકીના કાશ્મીરથી પસાર થાય છે. સ્વરાજે જણાવ્યું કે હિન્દ મહાસાગરનું આર્થિક મહત્વ અને ક્ષેત્રના દેશોની સમૃદ્ધિ અને વિકાસમાં તેની ભૂમિકા પહેલાથી જ સ્થાપિત છે. તેમણે જણાવ્યું કે આ ક્ષેત્ર દુનિયાનો સૌથી વધારે વ્યસ્ત જળમાર્ગ છે અને અહીંથી પસાર થનારા ત્રણ ચતુર્થાંશ જેટલા વાહન અમારા ક્ષેત્રમાંથી બહાર આવે છે.

વિદેશ પ્રધાને જણાવ્યું કે હિન્દ મહાસાગર વ્યાપાર અને ઈંધણ માટે મહત્વપૂર્ણ જળમાર્ગ છે. દુનિયાના અડધા કન્ટેનર શિપમેન્ટ, આશરે એક તૃતિયાંશ માલ અને બે તૃતિયાંશના શિપમેન્ટ આ રસ્તા પરથી જ પસાર થાય છે. એવામાં હિન્દ મહાસાગર પોતાના તટો અને તટવર્તી ક્ષેત્રોમાં વસેલા દેશોધી આગળ વધીને તમામ માટે મહત્વપૂર્ણ થઈ જાય છે. સ્વરાજે જણાવ્યું કે એટલા માટે જ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા અમારી વિદેશનીતિની પ્રાથમિકતા છે.