ભારત પર હુમલો કરવા પાક.માં 16 આતંકી ટ્રેનિંગ કેમ્પ સક્રિય…

નવી દિલ્હીઃ ભારતમાં પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય સેનાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકી ટ્રેનિંગ કેમ્પ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા. આમ છતા પણ પાકિસ્તાનમાં આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ સક્રિય છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભારત પર આતંકી હુમલો કરવા માટે પાક. અધિકૃત કાશ્મીરમાં હજી પણ 16 આતંકી કેમ્પ સક્રિય છે અને આ પ્રકારના અન્ય નવા કેમ્પ પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

(પ્રતિકાત્મક તસવીર)

સેનાના સુત્રોએ જણાવ્યું કે નવી ગુપ્તચર જાણકારી અનુસાર પીઓકેમાં હજી પણ 16 સક્રિય આતંકી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે અને તે ગરમીઓના મહિનામાં ભારતમાં ઘુસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે. સુત્રોનું માનીએ તો હવે આ શિબિરોથી નિકળીને આતંકવાદી LOC પાસે પોતાના લોન્ચ પેડ તરફ આગળ વધી રહ્યા છે.

નિયંત્રણ રેખાની નજીકના વિસ્તારોમાં ભારતીય સેના હાઈ એલર્ટ પર છે અને પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકીઓને ધકેલવાના કાવતરા પર સુરક્ષા એજન્સીઓએ કડક નજર રાખેલી છે. સુત્રો અનુસાર ગરમીઓના મહીનામાં ખૂબ નવા નિર્ણયો થવાની સંભાવના છે કારણ કે પાકિસ્તાન આતંકવાદી ગતિવિધિઓને પુનર્જીવિત કરવાના પ્રયત્નો કરશે, કારણ કે ભારતીય સેનાની કાર્યવાહીમાં આતંકવાદની કમર તૂટી ગઈ છે.

સુત્રોએ જણાવ્યું કે જાકિર મૂસાના મોત બાદ અટકળો છે કે પાકિસ્તાન દ્વારા વ્યાપક અશાંતી ફેલાવવાના પ્રયત્નો કરવામાં આવી શકે છે જેવી રીતે 2016માં બુરહાન વાણીના મોત બાદ જોવા મળ્યું હતું. કારણ કે કોઈપણ આતંકીનું મોત થવાથી આતંકી ગ્રુપોનો ઉત્સાહ ભંગ થાય છે.

પુલવામા હુમલા બાદ સુરક્ષા એજન્સીઓના નિશાના પર સતત જૈશના આતંકી છે અને સેનાની કાર્યવાહીમાં 30 થી વધારે મોટા આતંકીઓ અત્યારસુધી માર્યા ગયા છે અને અન્ય કેડર પણ ધ્વસ્ત થઈ ગયા છે. વર્ષ 2019માં સેનાના ઓપરેશનમાં 90 થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. આ સીવાય સુરક્ષા એજન્સીઓએ ISIS દ્વારા કાશ્મીરમાં પોતાની જાળ ફેલાવવાના નાપાક મનસુબા પર બાજ નજર રાખેલી છે.