ભારત અને ઈઝરાયલ ઈસ્લામ અને મુસ્લિમોના દુશ્મન છે: પાકિસ્તાન

ઈસ્લામાબાદ- ગત વર્ષ જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલનો પ્રવાસ કર્યો હતો. ભારતના કોઈ વડાપ્રધાન ઈઝરાયલના પ્રવાસે ગયા હોય તેવી આ પ્રથમ ઘટના હતી. આ ઘટનાના છ મહિના બાદ ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ ભારતના 6 દિવસના પ્રવાસે આવ્યા છે. ભારત અને ઈઝરાયલની વધી રહેલી મિત્રતાએ પાકિસ્તાનની ઉંઘ હરામ કરી છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના પીએમ નેતન્યાહૂની મિત્રતાને પાકિસ્તાને પેલેસ્ટાઈન અને કશ્મીર સાથે જોડી દીધી છે. પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું કે, ભારત અને ઈઝરાયલની મિત્રતા વધી રહી છે, કારણકે બન્ને દેશ ઈસ્લામ અને મુસ્લિમોના શત્રુ છે.

પાકિસ્તાનની ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં ખ્વાજા આસિફે કહ્યું કે, ભારત અને ઈઝરાયલનું સાથે આવવું સ્વાભાવિક વાત છે, કારણ કે, બન્ને દેશો ઈસ્લામ અને મુસ્લિમોની શત્રુતા માટે સરખો અભિગમ ધરાવે છે. બન્ને દેશનો સંબંધ ઘણો જૂનો છે.

એટલું જ નહીં, ખ્વાજા આસિફે ઈઝરાયલના પીએમના ભારત પ્રવાસ પર ફરી એકવાર કશ્મીર રાગ આલાપ્યો છે. તેણે કહ્યું કે, ભારત અને ઈઝરાયલ બન્ને દેશો એક જેવા જ છે. ભારતે કશ્મીર પર કબજો જમાવ્યો છે અને ઈઝરાયલે પેલેસ્ટાઈન પર કબજો જમાવ્યો છે અને ત્યાંની જનતા પર જુલમ ગુજારે છે.

બીજી તરફ પાકિસ્તાનના વિદેશપ્રધાન ખ્વાજા આસિફ ભારત અને ઈઝરાયલની મિત્રતા અંગે ઘણા સતર્ક જોવા મળ્યા. તેણે કહ્યું કે, પાકિસ્તાન ભારત અને ઈઝરાયલના સંબંધો પર સતત નજર રાખી રહ્યું છે અને આ ગઠબંધનથી પાકિસ્તાનને થનારા કોઈપણ જોખમને પહોંચીવળવા પાકિસ્તાન સક્ષમ છે.