મંગળ ગ્રહ પર મળ્યું પાણીનું સરોવર, જીવનની આશાઓ જીવંત થઈ

વોશિંગ્ટન- હવે એ દિવસો બહુ દૂર નથી જ્યારે મનુષ્ય મંગળ ગ્રહ પર વસવાટ કરશે. અત્યાર સુધી કલ્પના લાગતી આ વાત હવે વાસ્તવિકતા બનવા જઈ રહી છે. મંગળ ગ્રહ પર પ્રથમ વખત વિશાળ ભૂગર્ભ તળાવની શોધ કરવામાં આવી છે. જેથી હવે વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર વધુ પાણી હોવાનું અને ત્યાં જીવનના અસ્તિત્વ અંગે વધુ શક્યતા જોઈ રહ્યાં છે.અમેરિકન જર્નલ ‘સાયન્સ’માં પ્રકાશિત એક રિસર્ચમાં શોધકર્તાઓએ એવો દાવો કર્યો છે કે, માર્સિયન હિમ ખંડ નીચે મળેલું તળાવ 20 કિલોમીટર પહોળું છે. આ તળાવ મંગળ ગ્રહ પર મળી આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું જળાશય છે.

મહત્વનું છે કે, પહેલાં કરવામાં આવેલી શોધમાં પણ મંગળ ગ્રહની સપાટી ઉપર પાણીના સંભવિત ચિન્હો મળ્યાં હતાં પરંતુ વર્તમાનમાં જે પ્રમાણ મળી આવ્યું છે તે માનવ જીવનની શક્યતાઓને વધારે પ્રબળ બનાવે છે.

ઓસ્ટ્રેલિયાની સ્વિનબર્ન યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર એલન ડફીએ તેને ભવ્ય સિદ્ધિ તરીકે વર્ણવી છે. અને જણાવ્યું છે કે, તેનાથી જીવનને અનુકૂળ પરિસ્થિતિઓ ખુલવાની શક્યતાઓ વધી છે.