હવે માઓવાદીઓ સાથે પણ પાકિસ્તાન કનેક્શન, બસ્તરમાં ઝડપાયાં શસ્ત્રો…

નવી દિલ્હી- માઓવાદીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. શુક્રવારે છત્તીસગઢ પોલીસે ઉત્તર બસ્તરના કાંકેરમાં અથડામણ બાદ માઓવાદીઓ પાસેથી જી 3 રાઈફલ સહિત અન્ય આર્મ્સ અને એમ્યુનિશન જપ્ત કર્યાં. માઓવાદીઓ પાસેથી જે રાઈફલ જપ્ત થઈ છે તેને પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં લેવાઈ રહી છે. આ રાઈફલનો ઉપયોગ ભારતીય સેના નથી કરતી. માઓવાદીઓ પાસેથી વિદેશી બંદૂકો જપ્ત થયા બાદ સુરક્ષા એજન્સીઓ સચેત થઈ ગઈ છે. આ રાઈફલને જર્મનીની હેકલર એન્ડ કોચ કંપની બનાવે છે.

માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેના અને પાકિસ્તાની આતંકી સંગઠન માઓવાદીઓના સંપર્કમાં છે. તેમનો એજન્ડા ભારતમાં કાનૂન વ્વસ્થાને બગાડવાની છે. પાકિસ્તાની સેના અને તેમના આતંકી સંગઠન ખલિસ્તાની આતંકવાદીઓ સહિત તેનાથી જોડાયેલ અલગાવવાદી સંગઠનોને આર્મ્સ અને એમ્યુનેશન ગેરકાયદેસર રીતે ઉપલબ્ધ કરાવતા આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે હવે પાકિસ્તાની સેના અને તેના આતંકી સંગઠનોએ માઓવાદિઓને આર્મ્સ અને એમ્યુનેશન ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરી દીધું છે.

છત્તીસગઢના ડીજીપી ડીએમ અવસ્થીએ પણ જણાવ્યું કે માઓવાદીઓ પાસેથી જપ્ત જી 3 રાઈફલનો ઉપયોગ ભારતીય સુરક્ષાબળો નથી કરતા. તેનો ઉપયોગ પાકિસ્તાની સેના કરે છે. આ બીજી વખત બન્યું છે જ્યારે માઓવાદીઓ પાસેથી પાકિસ્તાની સેના દ્વારા ઉપયોગમાં કરાતી રાઈફલ જપ્ત થઈ હોય. અગાઉ પણ 2018માં છત્તીસગઢ પોલીસે સુકમામાં અથડામણ બાદ નક્સલીઓ પાસેથી જી 3 રાઈફલ જપ્ત કરી હતી.

મહત્વનું છે કે, ગત વર્ષે પુણે પોલિસે અર્બન નક્સલિઓ મામલે તપાસ દરમિયાન એક પત્ર મળ્યો હતો. આ પત્ર સુધા ભારદ્વાજ દ્વારા કામરેડ પ્રકાશને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં એક બેઠકમાં ભાગ લેવાનો ઉલ્લેખ હતો. આ પત્રમાં કશ્મીરી અલગતાવાદીઓ અને તેમના સંગઠનોનો પણ ઉલ્લેખ હતો.