આતંક માટે મહિલાઓનો ઉપયોગ કરશે જૈશ-એ-મોહમ્મદ, મસૂદની ક્લિપથી થયો ઘટસ્ફોટ

ઈસ્લામાબાદ- આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો મુખિયા મસૂદ અઝહર હવે મહિલાઓને પોતાનું ટાર્ગેટ બનાવી રહ્યો છે. મળતી માહિતી મુજબ મસૂદ અઝહર જેહાદ ફેલાવવા માટે મહિલાઓની એક આતંકી ફોજ તૈયાર કરવા ઈચ્છે છે અને તેના માટે મસૂદ મહિલાઓને માનસિક રીતે ઉશ્કેરી રહ્યો છે.મસૂદ અઝહરે તેની ઓનલાઈન જેહાદી પત્રિકા ‘અલકલામ’ દ્વારા તેની ઉત્તેજક ઓડિઓ ક્લિપ જારી કરી છે. મહિલાઓને જેહાદ માટે ઉશ્કેરતા મસૂદે ઈસ્લામિક ઇતિહાસમાંથી મહિલાઓની જેહાદમાં કહેવાતી ભાગીદારી અંગે દાવાઓ કર્યા છે. આપને જણાવી દઈએ કે, મસૂદ અઝહર તેની ઓનલાઈન જેહાદી પત્રિકા ‘અલકલામ’માં ‘શાદી’ ઉપનામથી પોતાના આર્ટિકલ લખે છે.

મસૂદ અઝહરના સંદેશા તરીકે જારી કરવામાં આવેલી ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈસ્લામના ઈતિહાસમાં એવા ઘણા પ્રસંગો છે જ્યારે મહિલાઓએ જેહાદમાં ભાગ લીધો છે. ઉલ્લેખનીય છે કે, આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ જમ્મુ કશ્મીરમાં આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. અને મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સંસ્થાપક છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ કશ્મીરમાં રમજાન મહિનામાં યુદ્ધવિરામ લાગુ કરવાના ભારત સરકારના નિર્ણયને મજબૂરી ગણાવતા યુદ્ધવિરામનો મજાક ઉડાવ્યો હતો. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરે એક જનસભાને સંબોધન કરવા દરમિયાન કહ્યું કે, ભારત સરકારને મજબૂરીમાં યુદ્ધવિરામ લાગુ કરવાની પરજ પડી છે.

મસૂદ અઝહરને એક ઓડિયો ક્લિપમાં એવું કહેતો સંભળાયો છે કે, હાલમાં કશ્મીરમાં જૈશના આતંકીઓને ઘૂસણખોરી માટે સારી તક છે. મહત્વનું છે કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારતમાં અગાઉ પણ ઘણા આતંકી હુમલાઓને અંજામ આપી ચુક્યું છે. અને હવે ફરી એકવાર તેણે ભારતમાં વધુ હુમલા કરવાની ધમકી ઉચ્ચારી છે.