રશિયામાં કશ્મીરને લઇ ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી રહી છે પાકિસ્તાની ISI

નવી દિલ્હીઃ કશ્મીરના મુદ્દા અને આતંકવાદ ફેલાવવાને લઈને આખી દુનિયામાં પછડાટ ખાનારું પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ નથી કરી રહ્યું. ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા મુદ્દે એક રીપોર્ટ આપ્યો છે. આ અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ રશિયામાં ઉપસ્થિત કેટલાક સ્થાનિકોની મદદથી કશ્મીરના મુદ્દાને લઈને ભારત વિરોધી ગતિવિધિઓને ફેલાવવામાં જોડાયેલી છે.

ભારતીય એજન્સીઓ પાસે એ પ્રકારના ઈનપુટ આવ્યા બાદ ત્યાંના મિશનને સક્રિય કરી દેવામાં આવ્યું છે. તો આ સાથે જ પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાકિસ્તાન એન્ટી ઈન્ડિયા પ્રોપગેન્ડાને રશિયાન મીડિયામાં પણ ફેલાવવા માગે છે પરંતુ તે હજી સુધી આ કામમાં સફળ નથી થઈ શક્યું.

હકીકતમાં પાકિસ્તાન અત્યારે આખા વિશ્વમાં આતંકવાદ મુદ્દે સાઈડલાઈન થઈ ગયું છે. તાજેતરમાં જ ચીને પણ પાકિસ્તાનનો સાથ મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરતા સમયે ન આપ્યો. પુલવામાં આતંકી હુમલા બાદ ભારતે બાલાકોટમાં જૈશના આતંકી ઠેકાણા પર મોટી એર સ્ટ્રાઈક કરી હતી. ત્યારબાદ પાકિસ્તાન હેબતાઈ ગયું છે અને એટલે જ તે કાશ્મીરને લઈને એન્ટી ઈન્ડિયા પ્રોપગેન્ડા કરવાના કામમાં લાગ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ પોતાની આ નાપાક ચાલને અંજામ રશિયાના કેટલાક વિસ્તારોમાં આપ્યો.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાકિસ્તાને તુર્કીમાં કશ્મીરી યુવાઓ માટે સાઈબર સેલ ખોલ્યો છે. જેથી આઈએસઆઈ કશ્મીરના ભણેલાગણેલા યુવાનોને ફોસલાવીને તેમને ભારત વિરુદ્ધ ભડકાવી શકે. સૂત્રો અનુસાર આના માટે પાકિસ્તાને એક ગ્રુપને ફંડિંગ કરીને સાઈબર સેલ ખોલવા માટે કહેવામાં આવ્યું છે.

હકીકતમાં તુર્કી દર વર્ષે આખા વિશ્વમાંથી યુવાનોને તુર્કીમાં અભ્યાસ માટે સ્કોલરશિપ આપે છે. આમાં કશ્મીરી યુવાનો પણ સ્કોલરશીપ મેળવે છે. આપને જણાવી દઈએ કે 2018માં આખા વિશ્વથી તુર્કીમાં સ્કોલરશિપ માટે એક લાખ 35 હજાર વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું હતું. આમાં 17,500 યુવાનોને સફળતા પ્રાપ્ત થઈ હતી. 1992થી શરુ થયેલી આ સ્કોલરશિપ દ્વારા આખા વિશ્વથી સરેરાશ દર વર્ષ 7000 થી વધારે વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મેળવે છે.