ચીનમાં રહેતાં ભારતીયોએ કેરળના પૂરગ્રસ્તોને મદદ કરી

શાંઘાઈઃ કેરળ અત્યારે ઇતિહાસના સૌથી ખતરનાક પૂરનો સામનો કરી રહ્યું છે. કેરળમાં અત્યારે લોકો ખૂબ ભયંકર સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ભારત સહિત વિદેશમાંથી પણ લોકો કેરળના પૂરપીડિતોને મદદ કરવા માટે હાથ લંબાવી રહ્યાં છે. ચીનમાં વસતાં ભારતીયોએ કેરળના પૂર પીડિતોની મદદ માટે હાથ લંબાવ્યાં છે. ચીનમાં સ્થિત ભારતીયોએ કેરળના લોકો માટે 32.13 લાખ રુપિયાની મદદ મોકલી છે. આ રકમને કેરળના મુખ્યપ્રધાનને સોંપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેરળની સ્થિતી અત્યારે અત્યંત ખરાબ છે. રોડ, રસ્તા, પુલો, મકાનો, ખેતરો, પાક, વગેરે સહિતનું સઘળુ નષ્ટ થઈ ગયું છે. અત્યારે લોકો રાહત કેમ્પમાં રહેવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા બને તેટલા લોકોને સુરક્ષા પ્રદાન કરવા, ફૂડ પેકેટ્સ સહિતની રાહત સામગ્રીઓ તેમના સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે કેરળના પૂર પીડિતો માટે માતબર રકમની જાહેરાત કરી છે. તો આ સીવાય ભારતના ઉદ્યોગપતિઓ, જાણીતી હસ્તીઓ, નાની મોટી સંસ્થાઓ સહિત ઘણા લોકો પૂર પીડિતોને મદદ પહોંચાડી રહ્યા છે.