જાપાનમાં ભારે બરફવર્ષા, આખી રાત ટ્રેનમાં ફસાયાં 430 લોકો

ટોક્યો- જાપાનમાં બારે બરફવર્ષા થતા લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. જાપાનના નિગાતામાં ભારે બરફવર્ષા થતાં આશરે 430 લોકો આખી રાત ટ્રેનમાં ફસાયેલા રહ્યા હતા. બરફ વર્ષાનો નજારો કંઈક એવો હતો કે જાપાની સમુદ્ર તટનો મોટો ભાગ બરફની ચાદરથી ઢંકાયેલો હતો. રેલવેના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.જેઆર ઈસ્ટ રેલવે કંપનીની નીગતા શાખાના પ્રવક્તા શિનિચી સેકીએ જણાવ્યું કે સાંજના સમયે આશરે 15 કલાક સુધી ટ્રેનને રોકી રાખવામાં આવી હતી અને ત્યારબાદ બીજા દિવસે એટલે કે સવારે ટ્રેનને ફરીથી રવાના કરવામાં આવી હતી.

ટ્રેન સેવા શરૂ થતા જ રેસ્ક્યુ ટીમે લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ યાત્રીઓની હાલત અત્યંત નાજુક થઈ હતી, જેમને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક યાત્રીઓએ જણાવ્યું હતું કે ટ્રેનમાં એક જ વૉશરૂમ હતું, અને ટોયલેટ પેપર પણ ખલાસ થઈ ગયા હતા. શિનચી સેકીએ કહ્યું હતું કે ચાર ડબ્બાવાળી આ ટ્રેન ગુરુવારે એક કલાકથી વધુ મોડી ચાર વાગ્યેને 25 મીનીટે ભારે બરફવર્ષાની વચ્ચે નિગાતા શહેર જવા રવાના થઈ હતી. બરફને કારણે ટ્રેનના પૈડા ફરતા જ નહોતા. જેથી આ ટ્રેન સ્ટેશન પહેલા એક રેલવે સ્ટેશનના ક્રોંસિંગ પર જ રોકાઈ ગઈ હતી.