ભારત-US સાથે મળી પાક.ના ન્યૂક્લિયર કેન્દ્ર બરબાદ કરે: પૂર્વ US સેનેટર

વોશિંગ્ટન- અમેરિકાના પૂર્વ સેનેટરે જણાવ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ બનવાનો ફાયદો ભારતને સૌથી વધુ મળી શકે છે. કારણકે, ટ્રમ્પે પાકિસ્તાનને આતંકીઓનું સમર્થન કરવા પર ફટકાર લગાવી છે. અને આ વાત ભારતના પક્ષમાં છે.

એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર અમેરિકાના પૂર્વ સેનેટર લેરી પ્રેસલરે જણાવ્યું કે, ભારત અને અમેરિકાએ સાથે મળીને પાકિસ્તાનના ન્યૂક્લિયર કેન્દ્રોને તબાહ કરી દેવા જોઈએ. અને આ માટે ટ્રમ્પે પેન્ટાગનને સમજાવવું પડશે.

વધુમાં લેરી પ્રેસલરે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને પોતાનું જુઠ્ઠાણું છુપાવવા માટે ભારતનને જ આતંકવાદનું જનક ગણાવ્યું. જે પેન્ટાગન દ્વારા પાકિસ્તાનને ખોટું પ્રોત્સાહન આપવાનું જ પરિણામ છે.

પોતાના સંબોધનમાં પ્રેસલરે કહ્યું કે, અમેરિકાએ પાકિસ્તાનને આતંકી દેશ જાહેર કરવો જોઈએ અને તેને આપવામાં આવતી દરેક પ્રકારની સહાયતા તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ. અમેરિકાએ ભારત અને પાકિસ્તાનન સાથે એક જ પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ નહીં. કારણકે ભારત એક લોકતાંત્રિક દેશ છે. જ્યારે પાકિસ્તાનમાં ફક્ત નામમાત્રની લોકશાહી છે. આડકતરી રીતે પાકિસ્તાનની સત્તા કોણ ચલાવે છે તે વૈશ્વિક સમુદાય સારી રીતે જાણે છે.

પ્રેસલરે કહ્યું કે, પાકિસ્તાન અને તેની એજન્સી ISI વર્ષોથી અમેરિકા સાથે જુઠ્ઠાણાનો વ્યવહાર કરી રહ્યાં છે. પ્રેસલરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, જો અમેરિકાએ પાકિસ્તાનને આર્થિક સહાય ન કરી હોત તો આજે પાકિસ્તાન પરમાણું હથિયાર બનાવી શક્યું ન હોત.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ભારતના વિદેશપ્રધાન સુષમા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રના પોતાના સંબોધનમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાંનો પર્દાફાશ કર્યો હતો. આપને જણાવી દઈએ કે પાકિસ્તાને ભારત ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.