બાંગ્લાદેશની ભારતને ભેટ, બે મુખ્ય પોર્ટનો ઉપયોગ કરી શકશે ભારત

ઢાકા- બાંગ્લાદેશ સરકારે ભારતના પક્ષમાં એક મોટો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશની કેબિનેટે એક નિર્ણય કર્યો છે, જે મુજબ હવે ભારત બાંગ્લાદેશના બે મુખ્ય બંદરગાહ ચિટગાંવ અને મોંગલાનો ઉપયોગ કરી શકશે.કેબિનેટ સચિવ મોહમ્મદ શફિઉલે આ નિર્ણય અંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, પ્રસ્તાવિત મુસદ્દા અનુસાર આ કરાર પાંચ વર્ષ માટે છે. જેને વધુ પાંચ વર્ષ માટે પુનરાવર્તન કરી શકાશે. જો વચ્ચે આ કરારને પૂર્ણ કરવો હોય તો ભારત અથવા બાંગ્લાદેશ બન્ને પક્ષોમાંથી કોઈ એક દ્વારા 6 મહિના પહેલા નોટિસ આપવી પડશે.

આ કરાર પછી ભારત હવે બાંગ્લાદેશી બંદરબાગનો ઉપયોગ કરીને ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ઘણા ઓછા સમયમાં માલ પુરવઠાની સપ્લાઈ કરી શકશે. જોકે, બાંગ્લાદેશ સરકારે ભારતને કહ્યું છે કે, આ સુવિધા મેળવવા માટે ભારતે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડના વૈશ્વિક નિયમો સ્વીકારવાના રહેશે. સાથે માલ પુરવઠાની સપ્લાઈ માટે બાંગ્લાદેશના કાયદાનું પાલન કરવાનું રહેશે.

આ કરાર થયા બાદ બાંગ્લાદેશના કસ્ટમ અધિકારી ભારતીય કંપનીઓ પાસેથી ડ્યૂટી અને ટેક્સ માટે બોન્ડ લેશે. જ્યારે શુલ્ક અને પરિવહનની રકમ માટે ગેટ નિયમોનું પાલન કરવાનું રહેશે. જહાજોના આવાગમન માટે ચાર વિવિધ માર્ગો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. જે આ પ્રમાણે છે. ચિટગાંવ-મંગલા પોર્ટ વાયા અગરતલા અખૌરા. ચિટગાંવ-મોંગલા પોર્ટ દૌકી વાયા તમાબિલ. ચિટગાંવ-મોંગલા પોર્ટ- સુતરકંડી વાયા શ્યોલ અને ચિટગાંવ-મોંગલા પોર્ટ બિબેક બાઝાર વાયા સિમંતપુર.