ઈન્ડોનેશિયાના જાવા, સુમાત્રા ટાપુઓ પર જ્વાળામુખી, સુનામી આફતમાં મરણાંક વધીને 222

જકાર્તા – ઈન્ડોનેશિયાના જાવા અને સુમાત્રા ટાપુઓ વચ્ચેની સુન્ડા સામુદ્રધુનિની આસપાસના કાંઠાળ વિસ્તારોમાં ગઈ કાલે રાતે એક જ્વાળામુખી ફાટવાને પગલે સુનામી મોજાં ઉછળ્યા બાદ માર્યા ગયેલાઓનો આંક વધીને 222 છે અને બીજાં 800થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેક લોકો લાપતા હોવાનો અહેવાલ છે.

સુનામી આફત સ્થાનિક સમય મુજબ શનિવારે રાતે રાતે લગભગ 9.30 વાગ્યે ત્રાટકી હતી.

સુન્ડા સામુદ્રધુનિ પર સેરાંગ, પાંડેગલાંગ અને સાઉથ લેમ્પુંગ વિસ્તારોના દરિયાકિનારાઓ પર સુનામી મોજાંએ હાહાકાર મચાવ્યો હતો.

સુમાત્રા ટાપુઓ વચ્ચે આવેલી સુન્ડા સામુદ્રધુનિમાં શનિવારે રાતે લગભગ 9.30 વાગ્યાના સુમારે સમુદ્રના પેટાળમાં ‘અનાક ક્રેકટાઉ’ નામનો જ્વાળામુખી ફાટતાં ભૂસ્ખલન થયું હતું અને એને પગલે દરિયામાં સુનામી મોજાં ઉછળ્યા હતા અને તે આફતે કિનારાના વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો અને વિનાશ વેર્યો છે. સુનામી મોજાંએ સેંકડો મકાનો અને ઘરોને જમીનદોસ્ત કર્યા છે. પર્યટકો તથા રહેવાસીઓને જાન બચાવવા ભાગી જવું પડ્યું હતું. સુનામીગ્રસ્ત વિસ્તારોમાં ઠેરઠેર મકાનોનો કાટમાળ, ઊંધી વળી ગયેલા વાહનો, તૂટી પડેલા વૃક્ષો જોવા મળ્યા હતા. દરિયાકિનારાની નજીકમાં જ એક આઉટડોર રોક બેન્ડ પરફોર્મ કરતું હતું અને એ જ વખતે સુનામી મોજાં ત્રાટકતાં જેને કારણે આખું સ્ટેજ તણાઈ ગયું હતું અને કલાકારો દર્શકોમાં જઈને પડ્યા હતા.

આ સુનામી મોજાં ‘અનાક ક્રેકટાઉ’ નામનો જ્વાળામુખી ફાટ્યા બાદ રાક્ષસી ઉછળ્યા હતા.

કુદરતી આફત ત્રાટક્યા બાદ ઘણા લોકો લાપતા પણ થયા છે.