‘સહિષ્ણુતા’ માટે ભારતના NGOને આર્થિક સહાય કરશે અમેરિકા

વોશિંગટન- અમેરિકન પ્રશાસને જણાવ્યું છે કે, ભારતના બિનસરકારી સંગઠનોને (NGO) અમેરિકા આશરે 5 લાખ અમેરિકન ડોલરની સહાય કરશે. આમ કરવા પાછળનો ઉદ્દેશ્ય સામાજિક સહિષ્ણુતામાં વધારો કરવો અને ભેદભાવ અને ધર્મપ્રેરિત હિંસા અટકાવવાનો છે.

અમેરિકાના વિદેશમંત્રાલયે ભારતના એવા સંગઠનોને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે, જે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરવાના વિચારો અને નવીનવી  યોજનાઓ સાથે સમાજમાં આગળ આવી રહ્યાં છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના લોકતંત્ર, માનવાધિકાર અને શ્રમબ્યૂરોએ પોતાની યાદીમાં જણાવ્યું કે, તેઓ પોતાના 4,93,827 ડોલરના કાર્યક્રમથી ભારતમાં શાંતિ સ્થાપવા પ્રયાસ કરશે તેમજ ધર્મ પ્રેરિત ભેદભાવ અને હિંસામાં ઘટાડો લાવવાનો આ સંસ્થાનો પ્રયાસ છે.

આ પ્રકારના કાર્યક્રમના માધ્યમથી આર્થિક મદદ મેળવનારાઓ માટે પુછવા પર અમેરિકન પ્રવક્તાએ જણાવ્યું કે, અમે કાર્યક્રમને લાગુ કરવા અંગે અત્યારથી કંઈ જણાવી શકીએ નહીં. પરંતુ તેમની જાહેરાત આવેદકોની અરજી અને છટણી કર્યા બાદ કરવામાં આવશે.